Gujarat High Court: હજારો સરકારી કર્મચારીઓના હક્ક લાભોને અસર કરતો ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. સરકારી કર્મચારી કે અધિકારી નોકરીમાંથી નિવૃત્ત થાય તે બાદ જો તેને કાનૂની કેસમાં સજા પડે તો સરકાર આવા કર્મચારી કે અધિકારીનું પેન્શન બંધ કરી શકે છે. ગંભીર ગુનામાં અદાલતે સજા કરી હોય તો પેન્શનરને કારણદર્શક નોટિસ આપ્યા વિના પણ તેનું પેન્શન સરકાર બંધ કરી શકે છે. નિવૃત્તિ બાદ પડેલી સજાના કિસ્સામાં કાર્યવાહી કરવા માટે સરકારને સમય મર્યાદાના કાયદાનો બાધ નડતો નથી. આ ચુકાદાની અસર સરકારમાં કામ કરી રહેલા અને નિવૃત્ત થઈ ચૂકેલા ઘણા બધા કર્મચારીઓ અને અધિકારીઓને થશે.


ગુજરાત સરકાર પર કર્મચારીઓના પગાર અને પેન્શનર્સનું ભારણ છે દર વર્ષે તેમાં વધારો થતો જઈ રહ્યો છે. ચાલુ વર્ષે સુધારેલા અંદાજ પ્રમાણે રાજ્યના સરકારી નોકરી કરતા અને ગ્રાન્ટેડ સંસ્થામાં કામ કરતા કર્મચારીઓના પગાર પાછળ રાજ્ય સરકાર 40 હજાર 503 કરોડ ખર્ચ કરશે. જે આગામી વર્ષ 2023-24માં વધીને 45 હજાર 91 કરોડ થશે. એટલે કે એક વર્ષમાં 5 હજાર 500 કરોડનો વધારો થવાનો છે.


બીજી બાજુ સરકારી ખાતામાં અને ગ્રાન્ટેડ સંસ્થામાં પેન્શનરોની સંખ્યા ચાલુ વર્ષે 4 લાખ 99  હજાર 527 હતી જે વધીને આગામી વર્ષે 5 લાખ 13 હજાર 716 થશે. આ પેન્શરનરોને ચાલુ વર્ષે ગુજરાત સરકાર 22 હજાર 708 કરોડ રૂપિયાનું પેન્શન ચૂકવશે.


જ્યારે આગામી વર્ષે સરકારનો પેન્શન પાછળનો ખર્ચ 24 હજાર 978 કરોડનો થશે. મહત્વની બાબત એવી છેકે, સરકારી ખાતા અને ગ્રાન્ટેડ સંસ્થાઓમાં કર્મચારીઓની સંખ્યામાં વધારો થયો નથી. પરંતુ પેશન્શનરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. 







Join Us on Telegram: https://t.me/abpasmitaofficial