આગામી સયમમાં રાજ્યમાં પાંચ જિલ્લાઓમાં પોલીસ ઇન્સપેક્ટર, પોલીસ સબ ઈન્સ્પેક્ટર સ્તરના નવા ૧૯ પોલીસ સ્ટેશન અને 8 નવી પોલીસ આઉટ પોસ્ટને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સોમવારે મંજૂરી આપી દીધી છે. બીજી બાજુ નવા પોલીસ સ્ટેશનની સાથે સાથે ભરતીને લઈને પણ તેમણે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. તેમણે આગામી નવેમ્બર મહિનામાં રાજ્ય પોલીસ તંત્રમાં LRDના 12000 જેટલા પદો ઉપર ભરતી પ્રક્રિયા શરૂ કરવાનું કહ્યું છે.


વર્ષ 2018-19 પછી પોલીસ તંત્રમાં એલઆરડીની ભરતી થઈ હતી. સામાન્ય વહિવટ વિભાગ-LRDના વિવાદાસ્પદ ઠરાવ બાદ કોરોના મહામારીને કારણે પોલીસ સેવામાં જોડાવવા માંગતા લાખો યુવાનોમાં LRD ભરતીની જાહેરાતથી નવી આશાનો સંચાર થયો છે.


ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, કોરોનાના કહેરને કારણે પોલીસ તંત્રમાં અટકી પડેલી ભરતી પ્રક્રિયાઓ પૂર્ણ કરવા માટે સરકાર મક્કમ છે. દિવળીના વેકેશન બાદ નવેમ્બર મહિનામાં 12 હજાર LRDની ભરતી માટે ગૃહ વિભાગ, ભરતી બોર્ડ તૈયારી કરી રહ્યું છે.


ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, ૪૭.૧૮ કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર કરાયેલા ૧૮ નવા પોલસ સ્ટેશનો અને ૮ આઉટ સ્ટેશન પોસ્ટ અપગ્રેડેશનમાં અરવલ્લી જિલ્લમાં ટિટોઈ આઉટ પોસ્ટને પોલીસ ઈન્સ્પેક્ટર સ્તરનુ કરવામાં આવ્યુ છે. જ્યારે બનાસકાંઠામાં પાલનપુર, અમીરગઢ, નવસારીના વિજલપોર, વલસાડમાં વલસાડ ગ્રામ્ય, પારડી, ડુંગરા સ્ટેશનને પણ અપગ્રેડ કર્યા છે.


ગુજરાતમાં નવા વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાના સુદ્દઢ સંચાલન માટે મંજૂર થયેલા નવા પોલીસ સ્ટેશન, આઉટ પોસ્ટ માટે ૧૪૦૧ જગ્યાઓ પણ મંજૂર થઈ છે.


માધપરમાં નવીન પોલીસ સ્ટેશનનો ઈ- લોકાપર્ણ બાદ ગૃહમંત્રીએ રેસ્ટોરન્ટ, બેંકિંગ, ટુરિઝમ અને ટ્રાન્સપોર્ટેશન સેક્ટરના વિકાસને ધ્યાને લઈને કચ્છમાં તેને કાર્યરત કર્યાનું જણાવ્યુ હતુ. કચ્છ ઉપરાંત સુરત શહેરમાં પાંચ, ગ્રામ્યમાં ત્રણ, વડોદરા શહેરમાં ચાર, રાજકોટ ગ્રામ્યમાં ત્રણ અને ભરૃચ જિલ્લામાં બે નવા પોલીસ સ્ટેશનને મંજૂરી મળી છે