દિવાળીના તહેવારો દરમિયાન રાજ્ય સરકારે અમદાવાદ સહિતના શહેરોમાં રાત્રી કર્ફ્યુથી માંડીને અન્ય પ્રતિબંધોમાં છૂટછાટ આપી હતી. હવે આ છૂટછાટ સરકારને જ ભારે પડી રહી છે. કેમ કે કોરોના (Corona Virus)ના કેસોમાં હવે સતત વધારો થઈ રહ્યો છે. દિવાળી બાદ ફરી એકવાર કોરોના (Corona Virus)ના કેસો વધ્યા છે સાથોસાથ લોકો રસીના મામલે પણ નિરસતા દાખવી રહ્યા છે.


વધતા સંક્રમણ વચ્ચે ગુજરાતના 32 લાખ લોકોએ હજુ રસીનો બીજો ડોઝ લીધો જ નથી. ત્યારે ગુરૂવારે કેંદ્રીય આરોગ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય અને કેંદ્ર શાસિત પ્રદેશોના આરોગ્યમંત્રી સાથેની બેઠકમાં આ મુદ્દે ચિંતા વ્યકત કરવામાં આવી હતી. કેંદ્ર સરકારે ગુજરાત સરકારને બીજા ડોઝનો લક્ષ્યાંક પૂર્ણ કરવા અને રસીકરણને વેગવંતુ બનાવવા ખાસ તાકિદ કરી છે.


છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં કોરોના (Corona Virus)ના કેસો નહીંવત રહ્યા હતાં. આ વખતે સરકારે કોરોના (Corona Virus)ની સ્થિતિને જોતા પ્રતિબંધમાં રાહત આપી હતી. પરિણામે તહેવારો દરમિયાન લોકોએ ભીડ એકઠી કરી અને રાજ્યમાં 20 આસપાસ નોંધાતા દૈનિક કેસો સીધા વધીને ડબલ કે તેથી વધુ થઈ ગયા. ત્યારે કેંદ્રીય આરોગ્ય વિભાગે રાજ્યના આરોગ્યમંત્રી અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે કરેલી બેઠકમાં રસીકરણને વેગ આપવા તાકીદ કરી છે. ગુજરાતમાં 92 ટકા લોકોએ રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો છે. તો 57 ટકા લોકોએ બીજો લીધો છે.


અમદાવાદ શહેરમાં જ 9 લાખથી વધુ લોકો એવા છે કે જેને નિયત સમય મર્યાદા બાદ પણ હજુ રસીનો બીજો ડોઝ લીધો નથી. હવે જ્યારે ફરી સંક્રમણ વધ્યું ત્યારે રાજ્યનું આરોગ્ય વિભાગ પણ સફાળુ જાગ્યું અને હવે ઘર- ઘર દસ્તક અભિયાન શરૂ કરવાની તૈયારીઓ આદરી છે.


ગુજરાતીમાં ગઈકાલે કોરોનાના કેસ


દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. ગઈકાલે રાજ્યમાં કોરોનાના નવા 40 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 21  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,542 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.75 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું  નથી. આજે 4,57,767 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.