અમદાવાદઃ ગુજરાતમાં મેઘમહેર અવિરત ચાલુ છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે હજુ આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરીછે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે.


હવામાન વિભાગ અનુસાર, પ્રથમ દિવસે ગુજરાતના સૌરાષ્ટ્રના રાજકોટ, સુરેન્દ્રનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ, ગીરસોમનાથ અને દીવ ઉપરાંત દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે.

બીજા દિવસે પણ સૌરાષ્ટ્રના રાજકોટ, સુરેન્દ્રનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ, ગીરસોમનાથ અને દીવ ઉપરાંત દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. બાકીના સ્થળોએ સ્વચ્છ હવામાન રહેશે.

ત્રીજા દિવસની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુરમાં પણ હળવો વરસાદ રહેવાની સંભાવના છે.

સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી જિલ્લાના વિસ્તોરમાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ સહિત કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ હળવા વરસાદની આગાહી છે.

શુક્રવારે પડેલ વરસાદને કારણે સુરત શહેરની સિવિલ હોસ્પિટલનાં ટ્રોમા સેન્ટરમાં અને બહાર ફરીથી પાણી ભરાઈ ગયા હતા. જેનાં કારણે સિવિલમાં આવતા દર્દીઓ અને તેના પરિવારજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહાનગર પાલિકાએ સિવિલ હોસ્પિટલની ડ્રેનેજ હોસ્પિટલની લાઇનો સાફ નથી કરી જેના કારણે આ સમસ્યા ઉદ્ભવી રહી છે.