રાજ્યમાં હજુ બે દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે બુધવારના દિવસ દરમિયાન ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ મનમૂકીને હેત વરસાવ્યું. ગીર સોમનાથ જિલ્લામાં વહેલી સવારથી જ મેઘરાજાનું આગમન થયું હતું. સવારથી સાંજ સુધી ધીમીધારે વરસાદ વરસ્યા બાદ સાંજ થતા મેઘરાજા મનમૂકીને વરસી પડ્યા. ગાજવીજ અને ભારે પવન સાથે ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકામાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો.


ગીર સોમનાથના સૂત્રાપાડામાં સૌથી વધુ 9 ઈંચ વરસાદ વરસ્યો. તો વેરાવળમાં 6 ઈંચ જેટલો વરસાદ વરસી જતા શેરી- ગલી- મહોલ્લા અને બજારોમાં ઠેર- ઠેર નદી વહેતા હોય તેવા દ્વશ્યો જોવા મળ્યા હતા. આ ઉપરાંત તાલાલા અને કોડીનાર પંથકમાં સાડા ત્રણથી ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. તો સાંજે મેઘરાજાની તોફાની બેટિંગથી જિલ્લામથક વેરાવળ- સોમનાથની બજારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે લોકોને હાલાકી વેઠવી પડી હતી.


સાર્વત્રિક વરસાદના પગલે જિલ્લાના નદી-નાળા અને ડેમોમાં નવા નીર આવ્યા છે. ગીરના જંગલ વિસ્તારમાં ભારે વરસાદથી કોડીનારના પેઢાવાડા નજીકથી પસાર થતી સોમેત નદીમાં પૂર આવ્યું છે. તો સૂત્રાપાડા શહેર તથા આસપાસના વિસ્તારમાં 9 ઈંચ વરસાદથી સર્વત્ર પાણી- પાણી થઈ ગયું. સૂત્રાપાડાના પ્રશ્નાવાડા ગામમાં તો લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા. આ સૂત્રાપાડાની સરસ્વતી નદીમાં પણ પૂર આવ્યું. જેના કારણે પ્રાચી તિર્થ સ્થિત માધવરાય મંદિરમાં પ્રતિમાઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.


આ તરફ ભારે વરસાદના પગલે ઉનાનો રાવળ ડેમ 90 ટકા સુધી ભરાયો. ડેમનું રૂલ લેવલ જાળવવા ડેમમાંથી પાણી છોડાયું. જેના કારણે ઉનાના 11 અને ગીર ગઢડાના 7 મળી કુલ 18 ગામને એલર્ટ કરાયા. આ તરફ વેરાવળમાં છ ઈંચ વરસાદથી તાલુકાના ભેરાળા ગામના પ્રવેશદ્વાર પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા. સાર્વત્રિક ધોધમાર વરસાદના પગલે ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા.