સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસતાં ગુજરાતના ઘણાં શહેરોમાં બેટમાં ફેરવાઈ ગયા હતા. પરંતુ છેલ્લાં કેટલાંક દિવસોથી ધોધમાર વરસાદે વિરામ લીધો છે જ્યારે હાલ ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં છુટા છવાયા ઝાપટાં પડી રહ્યા છે. શનિવારે અમદાવાદ સહિત ગુજરાતના ઘણાં વિસ્તારોમાં દિવસ દરમિયાન અસહ્ય ઉકળાટ અને બફરાનો વર્તારો રહેતા લોકો હેરાન પરેશાન થયા હતા.


ખાનગી વેબસાઈટના જણાવ્યા પ્રમાણે, આગામી 16થી 18 જુલાઈ સુધી અમદાવાદ સહિત ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ થતાં ચોમાસાની જમાવટ જામશે. ખાસ કરીને અમદાવાદમાં દોઢથી પાંચ ઈંચ જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 8થી 10 ઈંચ વરસાદ ખાબકવાની વકી હવામાન વિશેષજ્ઞે કરી છે.

હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી ચાર દિવસ દરમિયાન ગુજરાતના ઘણાં ભાગોમાં ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના છે. જેમા બુધવારે નવસારી, વલસાડ, સુરત, સોમનાથ, ભાવનગર, અમરેલી તથા જૂનાગઢમા ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

15 જુલાઈએ નવસારી, વલસાડ, સુરત, દમણ અને દાદરા નગર હવેલી તેમજ ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ તથા દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

16 જુલાઈએ નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, બનાસકાંઠા, ભરૂચ, સુરત, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી તથા દીવમાં ધોધમાર વરસાદ પડી શકે છે.

17 જુલાઈએ વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરત, ડાંગ, નવસારી, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, વડોદરા, નર્મદા, ભરૂચમાં તેજ વરસાદ પડે તેવી આગાહી કરાઈ છે.

18 જુલાઈએ સુરત, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ તેમજ દ્વારકામાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.

ગુજરાતમાં હાલ ચોમાસું સક્રિય બન્યું છે. ત્યારે બંગાળની ખાડી અને ઓડિશામાં સક્રિય થયેલું અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે જે 16 જુલાઈ સુધી ગુજરાત પહોંચીને લો-પ્રેશરમાં પરિવર્તિત થયા બાદ મોન્સુન ટ્રફ જમીન તરફ આવશે.