જૂનાગઢ:  જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે આવેલા એરપોર્ટનુ આજે કેન્દ્રિય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા  અને રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.  આજથી કેશોદ મુંબઈ વચ્ચેની વિમાની સેવાનો વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે પ્રારંભમાં સપ્તાહના ત્રણ દિવસ રવિ, બુધ અને શુક્રવારે વિમાની સેવા કાર્યરત રહેશે. 



72 સીટર વિમાની સેવા શરૂ થવાથી જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસન ઉદ્યોગને વધુ વેગ મળશે.  કેન્દ્રિય મંત્રીએ જણાવ્યું કે આગામી દિવસોમાં કેશોદથી અમદાવાદને જોડતી વિમાની સેવા પણ શરૂ કરવામા આવશે. આ ઉપરાંત તેઓ ગુજરાતના જમાઈ હોવાનું જણાવી માહોલને વધુ હળવો બનાવ્યો હતો.  આ તકે સૌરાષ્ટ્ર અનેક રાજકીય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.  સોમનાથ મંદિર સાથે તેમના દાદાનો સંબંધ હોવાનું પણ કેન્દ્રિય મંત્રીએ જણાવ્યું હતું.  


મહત્વનુ છે કે કેશોદ એરપોર્ટે પરથી જૂનાગઢના નવાબ વિમાન માર્ગે પાકિસ્તાન રવાના થયાં હતાં.  વર્ષ  2000 થી કેશોદ એરપોર્ટે પ્રવાસીઓ માટે બંધ હાલતમાં હતું, જે આજ શરૂ થવાથી સોરઠ પંથક માટે અતિ મહત્વની બાબત માનવામાં આવી રહી છે. 


ઉડાન યોજના અંતર્ગત શરૂ થયેલી કેશોદ વિમાન સેવા એક અઠવાડિયામાં ત્રણ દિવસ  સુધી કેશોદ-મુંબઈ તરફ ઉડાન ભરશે. તેવી જ રીતે એક અઠવાડિયાના ત્રણ દિવસ મુંબઈથી કેશોદ તરફ પણ ઉડાન ભરશે.  વર્ષો સુધી બંધ રહેલું કેશોદ વિમાન મથક આજે ફરી  શરુ કરવામાં આવ્યું છે. વિમાની સેવા સાથે કેશોદ જોડાતા સૌરાષ્ટ્રના પર્યટનમાં ખૂબ જ ફાયદો થવાની શક્યતા છે. કેશોદ એરપોર્ટ પરથી સોમનાથ મંદિર, જૂનાગઢ અને સાસણ ગીર નજીક થતા હોય વિમાની સેવા શરુ થવાથી લોકો સરળતાથી ત્યાં પહોંચી શકશે. કેશોદથી સોમનાથ અને દીવઆ તરફ પર્યટન સ્થળ સાસણ અને ધાર્મિક સ્થળ જૂનાગઢ પણ નજીક છે આવા સંજોગોમાં ઉડાન સેવા અંતર્ગત વિમાન માર્ગે જોડાયેલું કેશોદ હવાઈ મથક પર્યટન કોરિડોર માટે પણ ખૂબ સારો સંકેત માનવામાં આવે છે. જેનું આજે ઉદ્ઘાટન ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું છે.