નવી દિલ્હીઃ રાહુલ ગાંધીની હાજરીમાં કન્હૈયા કુમાર કૉંગ્રેસમાં સામેલ થઈ ગયા છે. ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ કૉંગ્રેસને સમર્થન આપ્યું છે જોકે તેઓ હજુ સુધી વિધિવત કૉંગ્રેસના સભ્ય બન્યા નથી. કન્હૈયા કુમાર કોગ્રેસના સભ્ય બન્યા પરંતુ મેવાણીએ કોગ્રેસના સભ્ય બન્યા નથી. આ પાછળ મેવાણીએ તર્ક આપ્યો હતો કે તે કોગ્રેસની વિચારધારા સાથે છે પરંતુ હાલમાં જો તેઓ કોગ્રેસમાં સામેલ થયા તો ધારાસભ્ય પદ પર રહી શકશે નહી કારણ તે અપક્ષ રીતે ચૂંટાઇને આવ્યા છે. નોંધનીય છે કે બંધારણની દસમી અનુસૂચી જેને પક્ષ પલટા વિરોધી કાયદો તરીકે ઓળખવામાં આવે છે. આ કાયદા હેઠળ જો કોઇ ધારાસભ્ય રાજકીય પક્ષ બદલે છે તો તેના પર કાર્યવાહી થઇ શકે છે. જે હેઠળ જો કોઇ અપક્ષ ધારાસભ્ય ચૂંટણી પછી કોઇ પાર્ટીમાં સામેલ થાય છે તો  તેના પર કાર્યવાહી થઇ શકે છે.


એક સાંસદ અથવા એક ધારાસભ્ય દ્ધારા રાજકીય પાર્ટીઓ બદલવાના મામલામાં ત્રણ કાયદાકીય શરતો છે. પ્રથમ શરત ત્યારે બને છે જ્યારે કોઇ રાજકીય પાર્ટી ટિકિટ પર ચૂંટાયેલા સભ્ય પોતાની મરજીથી પાર્ટીનું સભ્યપદ છોડી દે છે. બીજી શરત ત્યારે બને છે જ્યારે એક વ્યક્તિ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીને ધારાસભ્ય બને છે તો બાદમાં એક રાજકીય પાર્ટીમાં સામેલ હોય છે. પ્રથમ અને બીજી શરતમાં ધારાસભ્ય પોતાની બેઠક ગુમાવી દે છે. ત્રીજી શરત નામાંકિત સાંસદો સંબંધિત છે. આ મામલામાં કાયદો તેઓને નામાકિત થયા બાદ એક રાજકીય પાર્ટીમાં સામેલ થવા પર છ મહિનાનો સમય આપે છે. જો તે આ સમય બાદ કોઇ પાર્ટીમાં સામેલ થાય છે તો તે સંસદમાં પોતાની બેઠક ગુમાવી દે છે.


પક્ષપલટા વિરોધી કાયદાની તપાસ 1969માં ગૃહમંત્રી વાઇબી ચૌહાણની અધ્યક્ષતામાં એક સમિતિએ પક્ષ પલટાના મુદ્દાની તપાસ કરી હતી. આ દરમિયાન જાણવા મળ્યું કે 1967ની સામાન્ય ચૂંટણી બાદ પક્ષપલટાએ ભારતીય રાજકીય પરિસ્થિતિને પૂરી રીતે બદલી દીધી છે. તે સમયે 376માંથી 176 અપક્ષ ધારાસભ્યો રાજકીય પાર્ટીમાં સામેલ થઇ ગયા હતા. જો કે તે સમયે સમિતિએ અપક્ષ ધારાસભ્યો વિરુદ્ધ કોઇ કાર્યવાહીની ભલામણ કરી નહોતી. પરંતુ બાદમાં એક સભ્યએ અપક્ષ ધારાસભ્યના મુદ્દા પર સમિતિ સાથે અસહમતિ વ્યક્ત કરી હતી અને તેઓ ઇચ્છતા હતા કે જો અપક્ષ ઉમેદવાર કોઇ રાજકીય પાર્ટીમાં સામેલ થઇ જાય તો તેઓને અયોગ્ય જાહેર કરવામાં આવે. ચૌહાણ સમિતિ દ્ધારા આ મુદ્દા પર ભલાલણ કરી નહોતી. એટલા માટે પક્ષ પલટા વિરોધી કાયદો (1969,1973)બનાવવાની શરૂઆતના પ્રયાસો દરમિયાન રાજકીય દળોમાં સામેલ થનારા અપક્ષ ધારાસભ્યોને સામેલ કરવામાં આવ્યા નહોતા.


બાદમાં 1978માં સ્વતંત્ર અને મનોનીત ધારાસભ્યોને રાજકીય પાર્ટીમાં સામેલ થવાની મંજૂરી આપવામાં આવી હતી પરંતુ 1985માં બંધારણમાં સંશોધન કરવામાં આવ્યું અને અપક્ષ ધારાસભ્યોને એક રાજકીય પાર્ટીમાં સામેલ થતા રોકવામાં આવ્યા અને મનોનીત ધારાસભ્યોને 6 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો.