પોરબંદરઃ ગુજરાતમાં આગામી ચાર દિવસ હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આ બધાની વચ્ચે પોરબંદરના દરિયામાં એક જહાજ સાથે 22 લોકો ફસાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડ દ્વારા આ લોકોને બચાવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. 



સમાચાર એજન્સી એએનઆઇએ આપેલી ICG અધિકારીઓના હવાલાથી આપેલી માહિતી પ્રમાણે,  ભારતીય તટરક્ષક દળ ગુજરાતના પોરબંદર દરિયાકાંઠે અરબી સમુદ્રમાં બચાવ કામગીરી કરી રહ્યું છે. કારણ કે ઓનબોર્ડ પર અનિયંત્રિત પૂરને કારણે એમટી ગ્લોબલ કિંગ તરફથી સંકટની ચેતવણી પ્રાપ્ત થઈ છે. પોરબંદરના 93 NM પશ્ચિમમાં અને ખોર ફક્કન UAE-કારવાર ભારતથી રસ્તે જહાજ, 22 ક્રૂ સાથે 6000T બિટ્યુમેન વહન કરે છે. અન્ય એજન્સીઓ સાથે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. ICGએ બચાવ કામગીરી માટે નવા કમિશ્ડ ALH ધ્રુવ હેલિકોપ્ટર તૈનાત કર્યા છે.






ગુજરાતમાં ચોમાસું જામ્યું છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે આજે રાજ્યમાં સવારે 6 થી 8માં 31 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ ગીર સોમનાથના સુત્રાપાડામાં 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ પછી ગીર સોમનાથ વેરાવળમાં અઢી ઈંચ વરસાદ, ગીર સોમનાથ કોડિનારમાં અઢી ઈંચ વરસાદ, ભરુચના હાસોટમાં દોઢ ઈંચ વરસાદ અને ભાવનગરના મહુવામાં એક ઈંચ જેટલો વરસાદ છે.


રાજ્યમાં આગામી ચાર દિવસ સાર્વત્રિક ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તો અમદાવાદમાં પણ શુક્રવારે ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.


હવામાન વિભાગની આગાહી અનુસાર આજે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે ભરૂચ, સુરત, જૂનાગઢ, ગીર સોમનાથ અને સંઘ પ્રદેશ દિવમાં ભારે વરસાદ વરસી શકે છે.


તો આવતીકાલે સુરતના ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે નર્મદા, ભરૂચ,રાજકોટ, જામનગર, જૂનાગઢ, મોરબી અને કચ્ચમાં ભારે વરસાદ વરસી શકે છે.


શુક્રવારે સુરત, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, તાપી, નવસારી,નર્મદા, ભરૂચ અને દિવમાં ભારેથી અતિભારે જ્યારે અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, રાજકોટ, પોરબંદર, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.


શનિવારે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા,સુરત, ડાંગ, નવસારી, તાપી, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે, જ્યારે છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે.


ગાંધીનગરમાં મળેલી વેધર વોચ ગ્રુપની બેઠકમાં હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યુ હતુ કે પાંચ દિવસમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની અને પાંચ જુલાઈથી દસ જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર અને વલસાડમાં અતિભારે વરસાદ વરસી શકે છે.


વરસાદની આગાહીને પગલે રાહત કમિશનરે બેઠકમાં જણાવ્યુ હતુ કે કચ્છમાં ગાંધીનગરથી NDRFની એક ટીમ મોકલવાનો નિર્ણય કરાયો છે. આ સિવાય આણંદથી NDRFની ટીમ વલસાડ પહોંચી છે. જ્યારે SDRFની 11 ટીમો રાજ્યમાં જુદા જુદા જિલ્લામાં સ્ટેંડબાય રખાઈ છે. જે પૈકી એક ટીમ પોરબંદર પહોંચી છે.