સોમનાથઃ મહાશિવરાત્રીના પાવન પર્વ પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી તેમજ તેમના પુત્ર અને રિલાયન્સ જિયોના ચેરમેન આકાશ અંબાણી સોમનાથ દાદાના દર્શને પહોંચ્યા હતા. મહાશિવરાત્રી નિમિતે સોમનાથ મહાદેવના ખાસ દર્શન અને પૂજા- અર્ચના માટે મુકેશ અંબાણી પહોંચ્યા હતા.


સોમનાથ ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે લહેરી, ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ ટ્રસ્ટી પી.કે. લહેરી અને જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાની ઉપસ્થિતિમાં સોમનાથ ટ્રસ્ટને એક કરોડ 51 લાખનું અનુદાન આપ્યું હતું.  


મુકેશ અંબાણી અને આકાશ અંબાણીએ જળાભિષેક કરી સોમનાથ મહાદેવને પૂજા સામગ્રી પણ અર્પણ કરી હતી. સોમનાથ ટ્રસ્ટના પૂજારી દ્વારા તેઓનું ચંદન અને ઉપવસ્ત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું. સોમનાથ મહાદેવની મહાપૂજા, સોમેશ્વર પૂજા, ધ્વજા પૂજાના સંકલ્પ કરી અંબાણી પિતા-પુત્ર પૂજામાં સહભાગી થયા હતા.