જૂનાગઢ: આજે સોમવતી અમાસ છે જેને લઈ મોટી સંખ્યામાં ભાવિકો પ્રાચીન દામોદર કુંડે સ્નાન અને પિતૃ મોક્ષાર્થે પીપેળે પાણી ચઢાવવા ઉમટી પડ્યા હતા. લોકોએ પિતૃ તર્પણ અને દાન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું.  હિન્દુ ધર્મમાં અમાસનું ખાસ મહત્વ છે અને એમાં પણ સોમવારે અમાસ આવે ત્યારે તો તેનું મહત્વ વધી જાય છે. સોમવારે આવતી અમાસ સોમવતી અમાવસ્યા ગણાય છે. આજે સોમવતી અમાસનો પવિત્ર સંયોગ સર્જાયો છે ત્યારે ધાર્મિક મહત્વ ધરાવતા પવિત્ર દામોદર કુંડ ખાતે આજે સોમવતી અમાસના દિવસે મોટી સંખ્યામાં ભાવિકો તેમના પિતૃ તર્પણ માટે આવી પહોંચ્યા હતા. 


આજે પવિત્ર દામોદર કુંડ ખાતે મોટી સંખ્યામાં ભાવિકોએ પિતૃ તર્પણ કરીને સોમવતી અમાસની ઉજવણી કરી હતી. વહેલી સવારથી જ સોનરખ નદીના જળથી ભરાયેલા દામોદર કુંડમાં પિતૃ તર્પણ કરીને ભાવિકોએ સોમવતી અમાસની ભારે આસ્થા સાથે ઉજવણી કરી હતી દામોદર કુંડમાં તમામ ધાર્મિક વિધિને આદિ અનાદિ કાળથી ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે ત્યારે અમાસ અને તેમાં પણ સોમવતી અમાસના પવિત્ર સંયોગે આજે મોટી સંખ્યામાં ભાવિકોએ તેમના પિતૃનું તર્પણ કર્યું હતું.


વિક્રમ સવંતના હિંદુ પંચાંગ અનુસાર દર મહિને એક અમાસનો સંયોગ આવતો હોય છે. મહિનાના 30 દિવસ દરમિયાન દર 15 દિવસે એક અમાસ આવતી હોય છે જે સૂર્ય અને ચંદ્રની રાશિ અનુસાર પડતી હોય છે પરંતુ અમાસના દિવસે જ્યારે સોમવાર આવતો હોય આવા પવિત્ર સંયોગને સોમવતી અમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજના દિવસે પિતૃ તર્પણ અને પિતૃ કાર્યને ખૂબ જ મહત્વનું માનવામાં આવ્યું છે. ધાર્મિક માન્યતા અનુસાર આજના દિવસે કરેલું પિતૃ તર્પણ પ્રત્યેક મૃતાત્માઓ સુધી પહોંચે છે અને તેના આત્માનું કલ્યાણ થાય છે. 


ઘરમાં આ પાંચ જગ્યાએ દીવાં પ્રગટાવવાથી થાય છે લાભ - 
સોમવતી અમાસના દિવસે પીપળના ઝાડને જળ ચઢાવો અને સાંજે ત્યાં તેલનો દીવો પ્રગટાવો અને પીપળના ઝાડ નીચે બેસીને પિતૃ સૂક્તનો પાઠ કરો. આનાથી પૂર્વજો પ્રસન્ન થાય છે. ગરીબીનો નાશ થાય છે.


સોમવતી અમાસ પર સૂર્યાસ્ત પછી તળાવ કે નદીમાં લોટનો દીવો પ્રગટાવો. અમાવસ્યા પર પૂર્વજો પૃથ્વી પર આવે છે અને સૂર્યાસ્ત સમયે તેમની દુનિયામાં પાછા ફરે છે. પૂર્વજોની દુનિયામાં પાછા ફરતી વખતે તેમના માર્ગ પર કોઈ અંધકાર ન રહે તેની ખાતરી કરવા માટે, પૂર્વજો માટે દીવા પ્રગટાવવામાં આવે છે.


સોમવતી અમાસ પર હનુમાનજીની સામે દીવો પ્રગટાવો અને સુંદરકાંડ અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરો. તેનાથી શત્રુઓનો નાશ થાય છે. શનિ દોષથી રાહત મળે છે.