ગાંધીધામઃ ભચાઉના નેશનલ હાઈવે પર વાગડ વેલફેર હોસ્પિટલ સામે આવેલાં ઓવરબ્રિજ પર ક્રેટા કાર રોડ પર ઊભેલાં ટ્રેલર પાછળ ઘુસી જતાં સહોદર સહિત એક જ પરિવારનાં 3 સદસ્યોના ઘટનાસ્થળે મોત નીપજ્યાં છે. મૃતકોમાં ગાંધીધામના સામાજિક આગેવાન અમૃતલાલ કુંવરજી ઠક્કર (ઉ.વ.60), તેમના ભાઈ ભુદરજી કુંવરજી ઠક્કર (ઉ.વ.65) અને ભુદરજીભાઈના પત્ની પાર્વતીબેન (ઉ.વ.62)નો સમાવેશ થાય છે.


મૃતક ઠક્કરબંધુઓ ગાંધીધામમાં પીએમ આંગડિયા પેઢીનું સંચાલન કરતાં હોવાનું અને અમૃતલાલ ગાંધીધામ લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ હોવાનું બહાર આવ્યું છે. આજે રાત્રીના અરસામાં આ દુર્ઘટના ઘટી હતી. મૃતકો લૌકિક અર્થે ડીસાથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી તેમ સ્થળ પર દોડી ગયેલાં ભચાઉના પીઆઈ કહ્યું હતું. અકસ્માત એટલો ભીષણ હતો કે પોણો કલાકની ભારે મહેનત બાદ ત્રણેયના મૃતદેહો કારમાંથી બહાર નીકળી શક્યા હતા.