કચ્છઃ નખત્રાણા નજીક રોડ પ૨ ઊભેલી ટ્રક પાછળ કાર ઘૂસી જતાં એક જ પરિવારનાં ચાર જણનાં મોત નીપજ્યા છે. નખત્રાણાના ધાવડા અને દેવપર વચ્ચે મધરાત્રે સર્જાયેલાં ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એક જ પરિવારનાં ચાર લોકોના ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યાં. 
પ્રાથમિક માહિતી અનુસાર રોડ પર બંધ હાલતમાં ઊભેલી ટ્રક પાછળ પરિવારને લઈ જતી કાર ઘૂસી જતાં સર્જાયો અકસ્માત. અક્સ્માતમાં મૃત્યુ પામેલ લોકો નખત્રાણાના હતા.


આ અંગેની વધુ વિગતો એવી છે કે, ધાવડાથી દેવપરને જોડતા માર્ગ પર સોમવારે રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં દવાખાને જતા ગોસ્વામી પરિવારના ચાર લોકોનાં મોત થયાં છે. તેમજ હજુ બે લોકોની હાલત ગંભીર છે.  નખત્રાણાના ગોસ્વામી પરિવારની બાળકીને ખેંચની બીમારી છે અને જેની માંડવીના ખાનગી તબીબની દવા ચાલુ છે. 


ગત રાત્રે બાળકીને ખેંચનો હુમલો આવતાં પરિવારજનો કારમાં બાળકીના ઈલાજ માટે માંડવી જતા હતા. દરમિયાન કાર રોડ પર ઊભેલી ટ્રક પાછળ અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં સાસુ, વહુ, પૌત્ર અને દિયરના ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યા છે, જ્યારે જેની દવા લેવા જતા હતા એ બાળકી અને તેના પિતા ચેતન ગોસ્વામીને ઇજા પહોંચતાં હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. ચેતન ગોસ્વામી અને તેમના કાકા પરેશ ગોસ્વામી હોમગાર્ડ તરીકે ફરજ બજાવે છે. 




Hit And Run: ચોટીલા પગપાળા દર્શને જતા પદયાત્રીઓને નડ્યો અકસ્માત, 3ના મોત, 4 ઘાયલ


પાટણ: શંખેશ્વર નજીક ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. રાઘનપુરથી ચોટીલા દર્શન માટે પગપાળા જતા પદયાત્રીઓને અકસ્માત નડ્યો છે.  આ હિટ એન્ડ રનની ઘટનામાં ૩ પદયાત્રાઓના મોત થયા છે. અજાણ્યા વાહનની ટક્કરે પદયાત્રીઓના મોત થતા અરેરાટી મચી ગઈ છે. ૪થી વઘુ પદયાત્રાઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયા છે. ઇજાગ્રસ્ત પદયાત્રીઓને સારવાર અર્થે ખસેડાયા છે. હિટ એન્ડ રનની ઘટના બાદ વાહન ચાલક ફરાર થઈ ગયો છે. ફરાર વાહનચાલકની પોલીસે શોઘખોળ શરુ કરી છે.


ભાડૂતી હત્યારાઓ બોલાવી પતિએ કરાવી પત્નીની હત્યા


Banaskantha :  બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ઉત્તમપુરા મલાણા ગામે પતિએ ભાડૂતી હત્યારા બોલાવી પત્નીને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઉત્તમપુરા મલાણામાં ત્રણ સંતાનની જનેતાને ટૂંપો આપી હત્યા કરાતા ત્રણ બાળકો માં વિહોણા બની ગયા છે. પતિ અને સાસુએ ભાગીયાઓની મદદથી મહિલાનું ઢીમ ઢાળી દેતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી ચાર આરોપીઓની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. 


પતિ અને સાસુએ મળી કરાવી હત્યા 
પાલનપુર તાલુકાના ઉત્તમપુરા મલાણા ગામે પતિ તેમજ સાસુ મળી ભાગીયાઓની મદદથી ત્રણ સંતાનની જનેતાને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી હતી અને મહિલાની હત્યાને આત્મહત્યામાં ખુપાવવાનો પ્રયાસ કર્યો હતો. 


આ  મામલે મૃતકના ભાઈએ તેના બનેવી તેમજ મૃતકની સાસુ અને ત્રણ ભાગીયા સહીત પાંચ વ્યક્તિ સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે હત્યાનો ગુનો દાખલ કરાવતા પોલીસે ચાર આરોપીને ઝડપી પાડયા છે.પોલીસે મૃતક મહિલાના પતિ અને તેના હત્યારાના રિમાન્ડ મેળવી અને કયા કારણોસર હત્યા કરાવી છે તેની તપાસ હાથ ધરી છે


ભાગિયાઓની મદદથી ગળે ટુંપો દઈ કરી હત્યા 
પાલનપુર તાલુકાના મલાણા ગામના દેવજીભાઈ નરસુંગભાઈ ચૌધરી ની બહેન ગીતાબેનના લગ્ન ઉત્તમપુરા મલાણાના ગામના માનજીભાઈ ભીખાભાઇ ફોફ સાથે કરેલા હતા. આ પરણીતાને ત્રણ સંતાન હતા, પરતું મનજીભાઈ પોતાની પત્નીને યેનકેન પ્રકારે શારીરિક અને માનસિક ત્રાસ ગુજરાતા હતા.  દરમિયાન ગત તા.22 ઓગષ્ટના રોજ ગીતાબેન ફોફને તેમના પતિ મનજીભાઈ ભીખાભાઇ ફોફ અને સાસુ સંતોકબેન ભીખાભાઇ ફોફ એ તેમના ભાગીયા છોટારામ કાળુજી ડાભી રહે. ઘાઘુ તા.અમીરગઢ, ભીમાભાઈ પૂનાભાઈ પરમાર રહે.દલાપુરા જી.પિંડવાડા અને વિશનારામ પરમાર રહે. હિલવાની મદદથી ગળે ટૂંપો આપી મોત નીપજાવ્યું હતું.



મૃતકના શરીર પર ઇજાના નિશાનથી ભાંડો ફૂટ્યો 
મામલે મૃતક ગીતાબેનના ભાઈ દેવજીભાઈ ચૌધરીએ પાલનપુર તાલુકા પોલીસ મથકે પોતાની બહેન ને ગળે ટૂંપો આપી હત્યા કરાઈ હોવાની પોતાના બનેવી સહિત પાંચ વ્યક્તિ સામે ગુનો દાખલ કરાવ્યો હતો મૃતકના શરીર પર ઇજાના નિશાનથી હત્યા કરાઈ હોવાનું માલૂમ પડ્યું હતું


ઉત્તમપુરા મલાણાની ગીતાબેનનું ટૂંપો આપવાથી મોત થતા તેના પતિએ બનાવ અંગે તેમના સાસરીપક્ષમાં જાણ કરતા તેમના સાળા દોડી આવ્યા હતા અને મૃતકના ગળા તેમજ શરીરના ભાગે ઇજાના નિશાન જણાઈ આવતા મૃતકની હત્યા કરાઈ હોવાનું  જણાઇ આવતા ફરિયાદ કરાઇ હતી.