ક્ચ્છઃ  પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના નેર ગામે દલિત પરિવાર પર હુમલો થયો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. નેર ગામે મંદિરના પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવમાં આવ્યા હોવાનું મનદુઃખ રાખી હુમલો કરાયો હતો. પૂર્વ ક્ચ્છ પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી છે. હુમલો કરનારા કુલ 16 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. ફરાર આરોપીઓને શોધવા પૂર્વ ક્ચ્છ પોલીસની વિવિધ નવ ટીમોનું સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. 


આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડવાના શરૂ થઈ ગયા છે. કોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ જણાવ્યું કે, આ દ્રશ્યો અત્યંત વિકૃત, વિચલિત કરતા ક્રૂર છે. દલિતો મંદિરમાં દર્શન કરવા જવાની આ સજા? ભચાઉ તાલુકામાં બનેલી આ ઘટના સમાજ અને સરકાર ઉપર તમતમતો તમાચો છે. તેમણે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાતના ડીજીપીને ટેગ કરીને   તાત્કાલિક કડકમાં કડક પગલાં લઈ અત્યાચારી પરિબળોને સખતમાં સખત સજા થાય તે સુનિશ્ચિત કરે, તેમ ટ્વીટમાં જણાવ્યું છે. 

રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપ પરમારે આ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. જે દિવસે ઘટના બની ત્યારે કલેકટર અને એસપી સાથે ચર્ચા કરી. FIRની કોપી મંગાવી, કઈ કલમો લગાવી તેનો અભ્યાસ કર્યો. કોંગ્રેસના ધારાસભ્ય નવસાદ સોલંકી પર પણ મંત્રી પ્રદીપ પરમારે પ્રહાર કર્યો. નવસાદ સોલંકી સાચા અર્થમાં લોકોના કામ નથી કરતા. માત્ર ટ્વીટ કરે છે. આવી કોઈપણ ઘટના વખોડવા લાયક છે. એક ઘટનાને લઈ સમગ્ર રાજ્યને બદનામ ના કરવું જોઈએ.