અમદાવાદઃ અરબી સમુદ્રમાં સક્રિય થયેલાં ‘ક્યાર’ વાવાઝોડની અસરથી આગામી ચાર દિવસ સુધી ગુજરાતનું વાતાવરણ ડિસ્ટર્બ થયું છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે દિવાળી અને બેસતા વર્ષે વરસાદ પડે તેવી સંભાવના છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાંથી લઈને હળવો વરસાદ પડે તેવી શક્યતા છે.

આગામી ચાર દિવસ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે પરંતુ વરસાદની શક્યતા નહીંવત છે. જ્યારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં વરસાદી છાંટાથી લઈને હળવા વરસાદની સંભાવના છે. જેના ભાગરૂપે બે દિવસમાં ગુજરાતમાં ઠંડા પવનોનું જોર વધ્યું છે.

બે દિવસ પહેલાં અરબી સમુદ્રમાં સક્રિય થયેલું લો-પ્રેશર મજબૂત બનીને સાઈક્લોનિક સ્ટ્રોમ ‘ક્યાર’માં પરિવર્તિત થયું છે. જેથી દિવાળી અને બેસતાં વર્ષે વાદળિયા વાતાવરણ વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં કેટલાંક વિસ્તારોમાં વરસાદી છાંટાથી લઈને હળવો વરસાદ પડી શકે છે. તેમજ 30 ઓક્ટોબર સુધી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

આગામી ત્રણ દિવસ સુધી ડાંગ, તાપી, સુરત, ભરૂચ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢમાં વરસાદી વાતાવરણ સાથે સામાન્ય વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

30 અને 31 સપ્ટેમ્બરે વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ અને કચ્છમાં વરસાદની સંભાવના છે.