Surendranagar News: અમદાવાદ ACB પોલીસે સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કચેરીના (Surendranagar collector office) કંપાઉન્ડમાંથી એક વકીલને રૂ.૭૦૦૦ ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો.સરકારની આવાસ યોજના (awas yojana) અંતર્ગત નિયમ મુજબ પ્લોટ મેળવવાની કામગીરી માટે અરજદાર પાસે રૂ.૧૫૦૦૦ ની ગેરકાયદેસર લાંચ (bribe) માંગી હતી. જે રકમ રકઝકને અંતે રૂ.૭૦૦૦ નક્કી થતા અરજદાર લાંચ આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કર્યો હતો. અમદાવાદ એસીબી ટીમે છટકું ગોઠવી રૂપિયા ૭૦૦૦ ની લાંચ લેતા કિશન સોલંકી નામના વકીલને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


એસીબીને ફરિયાદ કરનાર વ્યક્તિએ પોતાના નામે સરકારી આવાસ યોજનામાં સરકારી ધારાધોરણ મુજબ પ્લોટ મેળવવા માટે અરજી કરી હતી. જેની કામગીરી પેટે એડવોકેટ કિશનકુમાર મગનભાઇ સોલંકી (સનદ નંબર-G8432007 ) નાએ રૂ.૧૫,૦૦૦ ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી પરંતુ ફરીયાદીએ રકઝક બાદ રૂ.૭૦૦૦ નકકી કર્યા હતા. જે ફરીયાદી આપવા માંગતા ન હોય જેથી એસીબી નો સંપર્ક કરી ફરીયાદ આપતા આજરોજ લાંચનુ છટકુ ગોઠવતા ફરીયાદી પાસેથી જીલ્લા કલેક્ટર કચેરીના કંપાઉન્ડમા લાંચની રકમ સ્વીકારતા એડવોકેટ કિશનકુમાર સોલંકીને એસીબીએ ઝડપી પાડ્યો હતો.






જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં એલઆઇબી શાખામાં ફરજ બજાવતા દેવસુરભાઈ વિરાભાઈ સાગઠીયા નામના પોલીસ કર્મચારી સામે જામનગર એસીબી ની ટીમ દ્વારા લાંચ રૂશ્વત ધારા અંગે ગુનો નોંધવામાં આવ્યો છે, અને તેની અટકાયત કરવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ છે. જામનગર માં ગત વિધાનસભા ની ચૂંટણી -૨૦૨૨ દરમિયાન એક વ્યક્તિનું વાહન રીકવિઝીટ કરેલું હતું, તે ઇકો કારના સરકારશ્રીના ધારા ધોરણ મુજબ કાયદેસરના મંજૂર થયેલ બિલની રકમ બેંકના ખાતામાં જમા થતાં પોલીસ કર્મચારીએ તે બિલ ની રકમ પેટે ૬,૦૦૦ રૂપિયા ની લાંચ ની માંગણી કરી હતી. તે રકમ આપવી ન હોવાથી વાહન ચાલક દ્વારા જામનગરની એ.સી.બી. શાખાનો સંપર્ક સાધવામાં આવ્યો હતો.જેના અનુસંધાને જામનગર એસએબી શાખા ની ટુકડીએ પુરાવાઓ એકત્ર કર્યા પછી પોલીસ કર્મચારી દેવસુરભાઈ વીરાભાઈ સાગઠીયા સામે લાંચ રૂશ્વત ધારા હેઠળ ગુન્હો નોંધ્યો છે, જેમાં સરકાર પક્ષે એ.સી.બી. શાખા ના ઇન્ચાર્જ પી.આઈ. એમ.ડી. પટેલ ફરિયાદી બન્યા છે. જેમાં આરોપી પોલીસકર્મીની અતકાયત કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.