નવી દિલ્હી: કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે દેશમાં ફરી એક વખત લોકડાઉન વધારવામાં આવ્યું છે. દેશમાં બે અઠવાડીા સુધી લોકડાઉનમાં વધારો કરવામાં આવ્યો છે. હવે દેશમાં 17 મે સુધી લોકડાઉન રહેશે. સરકારે તેનો નિર્ણય કર્યો છે. સરકારે કહ્યું હાલ લોકડાઉન ખત્મ કરવાથી નુકશાન થઈ શકે છે એટલે આ નિર્ણય કરવામાં આવ્યો છે.


દેશની લગભગ મોટા ભાગની વસ્તી હાલ ઘરોમાં કેદ છે. ત્યારે આવા સમયે જીવન જરૂરિયાતની વસ્તુઓને લઈ ઘડી અગવડો આવતી હોય છે. જો કે, અમુક પ્રકારની વસ્તુઓની છૂટ મળતી થોડી રાહત થઈ છે. પણ આ બધાની વચ્ચે હાલ ગુટખા તમાકુના બંધાણીઓ માટે સૌથી સારા સમાચાર કહી શકાય તેમ ગુજરાતમાં હવે પાન મસાલાની દુકાનોને છૂટ આપવામાં આવી છે.

ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પાન મસાલા ખાવાનું ચલણ વધારે છે. ત્યારે પાન મસાલાના શોખીનો માટે સારા સમાચાર એ છે કે, ગુજરાતમાં પાનના ગલ્લાને ખોલવાની છૂટ અપાઇ છે. પણ તેમાં શરત એ જ છે કે, ગુજરાતમાં પાનના ગલ્લાને માત્ર ગ્રીન ઝોન વિસ્તારમાં જ ખોલવાની છૂટ અપાઈ છે.

પાનમસાલાના બંધાણીઓ તેનું સેવન જાહેરમાં નહિ કરી શકે. જાહેરમાં તમાકુનું સેવન પ્રતિબંધિત જ છે. સાથે સાથે પાનપાર્લરના માલિકો અને દુકાન ચાલકોએ ગ્રાહકો વચ્ચે 6 ફૂટનું ડિસ્ટન્સ રાખવું ફરજિયાત રહેશે.

ગુજરાતમાં ગ્રીન ઝોનમાં કુલ પાંચ જિલ્લા આવે છે, જ્યાં પાન મસાલાની દુકાનો ખોલવામાં આવશે. આ પાંચ જિલ્લામાં મોરબી, અમરેલી, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા​ નો સમાવેશ થાય છે.

જોકે કેન્દ્ર સરકારે આ છૂટ આપી છે અને તેના પર અંતિમ નિર્ણય રાજ્ય સરકારે કરવાનો છે. એટલે કે રાજ્ય સરકાર ઇચ્છે તો આ છૂટને પરત લઈ શકે છે. માટે હવે જોવાનું રહેશે કે 3 મે પહેલા રાજ્ય સરકાર આ મામલે કોઈ અલગ નિર્ણય કરે છે કે પછી કેન્દ્ર સરકારના નિર્ણયનું પાલન કરે છે.