ગાંધીનગરઃ રાજ્યના બનાસકાંઠા જિલ્લાના 13 તાલુકાઓમાં અને પાટણના બે તાલુકામાં તીડના આક્રમણના કારણે ખેડૂતોને મોટુ નુકશાન થયું હતું. તીડના આક્રમણના કારણે આ વિસ્તારમાં ખેડૂતોના 25 હજાર હેક્ટરથી વધુ ઉભા પાકને ભારે નુકસાન થયું હતું. રાજ્ય સરકારે તીડના આક્રમણથી ખેડૂતોને થયેલા નુકશાન સામે 31 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે એસડીઆરએફના નિયમો અંતર્ગત તીડથી નુકસાન પામનાર ખેડૂતોને હેકટર દીઠ રૂપિયા 18500 ની ચુકવણી કરવામાં આવશે. જેમાં બે હેક્ટરની મર્યાદામાં ચુકવણી કરવામાં આવશે.


કૃષિમંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું કે 18500માં 13500 એસડીઆરએફના નિયમો અંતર્ગત અને 5000 રાજ્ય સરકાર પોતે ભોગવશે અને ખેડૂતોને ચૂકવશે.

ઉલ્લેખનીય છે કે રાજ્યના ખેડૂતો માટે એક જ વર્ષમાં રાજ્ય સરકારે આ ત્રીજી વાર પેકેજની જાહેરાત કરવાની જરૂરિયાત ઊભી થઇ છે. આ અગાઉ બે વાર કમોસમી વરસાદથી નુકસાન પામનાર ખેડૂતોને પેકેજની ચુકવણી કરવામાં આવી હતી.

કૃષિમંત્રી આર.સી.ફળદુએ પણ તીડના આક્રમણને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારની મદદ લીધી હતી. કેન્દ્રના કૃષિ મંત્રાલયની ૩૦થી વધુ ટીમો ગુજરાતમાં તીડ સામે કાર્યવાહી કરવા આવી પહોંચી હતી. કૃષિ વિભાગ દ્વારા લોકોને તીડના આક્રમણ સામે જન જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો હતો. જો કે નુકસાન એટલા મોટા પાયે થયુ હતું જેના કારણે મુખ્યપ્રધાન દ્વારા આદેશ કરીને તાત્કાલિક અસરથી બનાસકાંઠા પાટણના તીડ પ્રભાવિત વિસ્તારનો નુકસાનીનો સરવે કરાવવાના આદેશ સાથે હતા. જેનો રિપોર્ટ ગઈકાલે કૃષિ વિભાગના અધિકારીઓ દ્વારા કૃષિમંત્રી આર.સી.ફળદુ ને આપવામાં આવ્યો હતો.