અમદાવાદઃ રાજ્ય સરકાર હેલ્મેટ મામલે હજુ સુધી નક્કર નિર્ણય કરી શકી નથી. પહેલા કેન્દ્ર સરકારે ઘડેલો મોટર વ્હીકલ એક્ટ હળવા દંડ સાથે લાગુ કર્યો હતો. ડિસેમ્બર 2019માં શહેરી અને અર્ધ શહેરી વિસ્તારોમાં હેલ્મેટ મરજીયાત કર્યું હતું. પરંતુ તેના થોડા દિવસ બાદ આ અંગે ખુલાસો કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ કાયદો થોડા સમય માટે જ મોકૂફ રાખવામાં આવ્યો છે,પણ કાયદો કાઢી નાંખવામાં આવ્યો નથી.

આ મામલે આજે રાજ્યના પરિવહન મંત્રી આર.સી. ફળદુએ જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટ અને એડવાઇઝરીને મારે જે કહેવું હતુ તેં મે કહી દીધું છે. સીએમ એ હેલ્મેટ મામલે જે કહ્યુ છે તે મુદે અમે વળગી રહ્યાં છીએ. સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરવાનું રહેશે. આ અંગે અમે કેન્દ્ર સરકારને રાજ્યના શહેરી વિસ્તારોમાં હેલ્મેટમાંથી મુક્તિ આપવા માટે પત્ર લખ્યો છે. આ મામલે હવે કેન્દ્ર સરકાર જે નિર્ણય લેશે તે અંતિમ ગણાશે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ આજે કહ્યું કે, પ્રજાની લાગણીને લઇ અમે હેલ્મેટનો નિયમ બદલ્યો છે. ડિસેમ્બર 2019માં ગુજરાતમાં શહેરી અને અર્ધ શહેરી વિસ્તારોમાં  હેલ્મેટ પહેરવામાંથી આપવામાં આવેલી મુક્તિને લઈ રોડ સેફ્ટી કાઉન્સિલે રાજ્ય સરકારને પત્ર લખીને ખુલાસો માંગ્યો હતો. જેને લઈ સીએમ રૂપણીએ કહ્યું હતું કે, હેલ્મેટનો કાયદો રદ નથી કર્યો, તેને સ્થગિત કરવામાં આવ્યો છે.

મંત્રી આર.સી.ફળદુએ 4 ડિસેમ્બર, 2019ના રોજ જાહેરાત કરતાં કહ્યું હતું કે, હવે રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારમાં હેલ્મેટ પહેરવું ફરજીયાત નથી. રૂપાણી સરકારની કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.