રાજ્યભરમાં મકરસંક્રાંતિને લઈને પતંગ રસિયાઓમાં ભારે ઉત્સાહનો માહોલ હોય છે. પરંતુ બનાસકાંઠાના છેવાડાના ગામમાં છેલ્લા ૨૦ વર્ષથી મકરસંક્રાંતિનો તહેવાર ઉજવાતો નથી. ધાનેરા તાલુકાનું ફતેપુરા ગામ જ્યાં વર્ષોથી મકરસંક્રાંતિનો તહેવાર ઉજવાતો નથી. આ ગામમાં ધાબાની આજુબાજુ પ્રોટેક્શન દિવાલ જ નહોતી અને બાળકો- યુવાનો પડી જવાના ડરથી ગામના વડીલો એક બેઠક બોલાવી અને વીસ વર્ષ અગાઉ ગામમાં પતંગોત્સવ ઉજવવાની મનાઇ કરવામાં આવી અને ઉત્તરાયણના દિવસે પતંગની જગ્યાએ ગામની સફાઈ, દાન-દક્ષિણા અને જીવમાત્રની સેવા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો અને આજે પણ તે પરંપરા યથાવત છે.


બનાસકાંઠાના ધાનેરા તાલુકાના ફતેપુરા ગામ જ્યાં વર્ષોથી મકરસંક્રાંતિનો તહેવાર ઉજવાતો નથી આખરે આ ગામમાં એવું તો શું થયું કે આકાશમાં એક પણ પતંગ ચગતો નથી. આ મામલે ગામની મુલાકાતથી અનેક સવાલોના જવાબ મળ્યા હતા. ફતેપુરા ગામમાં ધાબાની આજુબાજુ પ્રોટેક્શન દિવાલ જ નહોતી અને બાળકો યુવાનો પડી જવાના ડરથી ગામના વડીલોએ એક બેઠક બોલાવી હતી. વીસ વરસ અગાઉ ગામમાં ઉત્તરાયણ ઉજવવાની મનાઇ કરવામાં આવી અને ઉત્તરાયણના દિવસે પતંગની જગ્યાએ ગામની સફાઈ, દાન-દક્ષિણા અને જીવમાત્રની સેવા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.


ઉત્તરાયણના દિવસે પતંગ રસિયાઓની મોજમાં અનેક પક્ષીઓ ઘાયલ પણ થતા હોય છે અને અનેક પક્ષીઓના મોત પણ થતા હોય છે. અનેક બાળકોના ગળા પણ કપાતા જોવા મળે છે ત્યારે વડીલોના માર્ગદર્શનના ભાગરૂપે ગામમાં આજે પણ ઉતરાયણનો તહેવાર ઉજવાતો નથી ત્યારે યુવાઓએ પણ વૃદ્ધોના નિર્ણયને માન આપી આજે પણ તેનું પાલન કરે છે.


ઉપરાંત પણ ગામમાં કોઈ મનમાની કરતા નથી.  જો કોઇ ઉત્તરાયણ પર પતંગ ચગાવે તો ગ્રામજનો તેની પાસેથી દંડરૂપે 5 બોરી બાજરીનું દાન કરાવે છે. જોકે ૨૦ વર્ષથી આ પ્રણાલી ચાલુ હોવાથી હાલ ગામમાં એક પણ યુવાન પતંગ ચગાવતો જોવા નથી મળતો અને લોકો ઉતરાયણના દિવસે દાન ધર્મ કરી ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરી રહ્યા છે. આમ તો ગુજરાતમાં ઉતરાયણના તહેવારનું અનેરૂ મહત્વ હોય છે પતંગ રસિયાઓ સાથે દાન કરવાનો મહિમા પણ ગુજરાતમાં અનેરો જોવા મળી જાય છે પરંતુ ફતેપુરા ગામમાં છેલ્લા ૨૦ વર્ષથી આ નિર્ણયથી અનેક  લોકોને શીખ લેવાની જરૂર છે જ્યારે સરકારનું કરુણા અભિયાન આ ગામમાં સફળ સાબિત થાય તેમાં કોઈ નવાઈ નહીં.