અમદાવાદઃ કોરોના કાળમાં લોકો આફતને અવસરમાં બદલી રહ્યા છે. કોરોના વાયરસને કારણે ઘણી એવી વસ્તુ છે જેની માગમાં ઉછાળો આવ્યો છે જેનો લાભ લઈને ઉત્પાદકો લોકોને લૂંટી રહ્યા છે. આવી જ એક વસ્તુની માગમાં ઉછાળો આવ્યો છે અને તે છે ઓક્સિજન. ઓક્સિજનની માગમાં ઉછાળો આવતા ઉત્પાદકોએ ભાવમાં 300 ટકાનો વધારો કરી દીધો છે.


કોરોનાકાળ પહેલા ઓક્સિજન કિલોદીઠ 8.50 રૂપિયા પ્રતિ કિલોએ મળતો હતો જે હવે 33 રૂપિયે પ્રતિ કિલોએ વેચાઈ રહ્યો છે.

માગ વધવાની સાથે સાથે પુરવઠમાં પણ ઘટ આવતા ભાવમાં વધારો નોંધાયો છે. મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં રોજના 350 ટન ઓક્સિજનનો આવતો જથ્થો બંધ થઈ જતા ગુજરાતમાં માગની સામે પુરવઠો ઓછો થતાં ઓક્સિજનની અછત સર્જાઈ છે. બીજી બાજુ પુરવઠો ઓછો થવાની સાથે માગ વધતા કેટલાક લોકો સંગ્રહ કરતાં હોવાની વાત પણ સામે આવી છે.

ગુજરાતમાં કોરોનાના ચેપના વધી રહેલા કેસને ધ્યાનમાં લઈને આગામી મહિનાઓમાં દર્દીઓને ઓક્સિજનની જરાય અછત ન પડે તે માટે ગુજરાત સરકારે ગુજરાતમાં ઓક્સિજન તૈયાર કરતાં તમામ ક્ષેત્રના ઉત્પાદકોના કુલ ઉત્પાદનમાંથી 350 ટન ઓક્સિજનનો જથ્થો સરકારી હોસ્પિટલો અને સારવાર કેન્દ્રો તથા કોવિડ સેન્ટરો માટે અનામત કરી દેવામાં આવ્યો હોવાનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું.

ગુજરાતમાં રોજનું 750 ટન ઓક્સિજનનું ઉત્પાદન કરવામાં આવે છે. બીજી બાજુ ગુજરાત સરકારે 50 ટકા ઓક્સિજનનો જથ્થો રિઝર્વ કર્યો હોવાને કારણે પણ ભાવમાં વધારો થયો હોવાની ચર્ચા છે.

ઓક્સિજનના ઉત્પાદકો 50 ટકા જથ્થો અનામત ન રાખે તો તેમની સામે એપિડેમિક ડીસીઝ એક્ટ, ડિઝાસ્ટર મૅનેજમેન્ટ એક્ટ, ઉપરાંત ઇન્ડિયન પીનલ કોડની જોગવાઈ મુજબ તેમની સામે પગલાં લેવામાં આવશે.

બીજી બાજુ ઘણી બધી ઔદ્યોગિક એક્ટિવિટીમાં પણ ઓક્સિજનનો ઉપયોગ કરવામાં આવે છે. તેમની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તેમને માટે 50 ટકા જથ્થો અનામત રખાવી દેવામાં આવ્યો છે.