Micron To Invest In India: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસની અમેરિકાની યાત્રાએ છે. આ દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે એક પછી એક સમજુતિઓની જાણે હારમાળા સર્જાઈ છે. પહેલા યુદ્ધ વિમાનોના એન્જીન ભારતમાં જ બનાવવાની, ત્યાર બાદ ભારત અને અમેરિકા દ્વારા સંયુક્ત ઉપક્રમે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સ્થાપવા, તો ભારતમાં ગુજરાતના અમદાવાદ સહિત નવા 5 અમેરિકી કોન્સ્યુલેટ સ્થાપવાની સમજુતિ બાદ હવે ગુજરાતમાં આશરે 23 હજાર કરોડ રૂપિયાની સોગાદ આપવામાં આવી છે. 


ચિપ બનાવતી અમેરિકન કંપની માઈક્રોન ટેક્નોલોજીએ ગુજરાતમાં નવો સેમિકન્ડક્ટર ચિપ પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી છે. આ માટે $2.75 બિલિયનનું રોકાણ કરવામાં આવશે. ભારતમાં માઈક્રોનનું આ પ્રથમ રોકાણ હશે. માઈક્રોન ટેકનોલોજી આ પ્લાન્ટ સ્થાપવા માટે $825 મિલિયનનું રોકાણ કરશે.


માઈક્રોન ટેક્નોલોજીએ જણાવ્યું હતું કે, ભારત સરકાર અને ગુજરાત સરકારના સહકારને કારણે આ ચિપ સુવિધા સ્થાપિત કરવા માટે કુલ $2.75 બિલિયન (રૂ. 22,540 કરોડ)નું રોકાણ કરવામાં આવશે. જેમાં સરકારના 50 ટકા ભારત, 20 ગુજરાત સરકાર પણ 100 ટકા રોકાણ કરશે. કંપનીએ જણાવ્યું હતું કે, આ નવા પ્લાન્ટનું નિર્માણ 2023માં જ શરૂ થશે અને 2024ના અંત સુધીમાં પ્લાન્ટમાંથી ઉત્પાદન શરૂ પણ થશે. આ ચિપ પ્લાન્ટના બીજા તબક્કા પર કામ આ દાયકાના ઉત્તરાર્ધમાં શરૂ થશે. માઈક્રોન ટેક્નોલોજીએ જણાવ્યું હતું કે, બંને તબક્કામાં 5,000 સીધી નોકરીઓનું સર્જન થશે જ્યારે 15,000 લોકોને આગામી કેટલાક વર્ષો સુધી પરોક્ષ રીતે રોજગાર મળવાનું ચાલુ રહેશે.


માઈક્રોન ટેક્નોલોજીએ કહ્યું હતું કે, આ પ્લાન્ટને સરકારની ATMP યોજના હેઠળ મંજૂરી આપવામાં આવી છે. માઇક્રોને જણાવ્યું હતું કે, નવો પ્લાન્ટ DRAM અને NAND બંને ઉત્પાદનોના એસેમ્બલી અને પરીક્ષણ ઉત્પાદન માટે સક્ષમ હશે અને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોની માંગને પણ પૂરી કરશે.




વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકામાં માઇક્રોન ટેક્નોલોજીના સીઇઓ સંજય મેહરોત્રા સાથેની બેઠક બાદ આ ડીલને સત્તાવાર બનાવવામાં આવશે. પીએમ મોદી હાલ અમેરિકાના પ્રવાસે છે. આ સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવાના પ્રોજેક્ટને લગભગ કેબિનેટ પહેલા મંજૂરી આપવામાં આવી હતી. જાહેર છે કે, થોડા દિવસ પહેલા જ વેદાંતના અનિલ અગ્રવાલે પણ ગુજરાતમાં જ સેમીકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી હતી.


અમદાવાદને પણ મોટી ભેટ


અમેરિકા જવા માગતા ગુજરાતીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવે ગુજરાતીઓને USના વિઝા માટે મુંબઈ જવુ નહીં પડે. અમેરિકા અમદાવાદમાં વાણિજય દુતાવાસ ખોલશે. આમ PMના પ્રવાસ વચ્ચે વિદેશ જતા ગુજરાતીઓ માટે આ ખુશીના સમાચાર છે. આ ઉપરાંત બેંગલુરુમાં પણ અમેરિકા વાણિજય દુતાવાસ ખોલશે. નોંધનીય છે કે, અમેરિકામાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ વસે છે અને દર વર્ષ મોટી સંખ્યામાં અમેરિકા જવા માટે ગુજરાતીઓ અરજી કરે છે.