અમદાવાદ: રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી ચાલતા નિલકંઠવર્ણી વિવાદને લઈને પ્રથમ વખત મોરારિ બાપુએ પ્રતિક્રિયા આપી છે. મોરારિ બાપુએ પ્રતિક્રિયા આપતા કહ્યું, આ વિવાદમાં કોઇએ વચ્ચે પડવાની જરૂર નથી.


જામનગરમાં મોરારિ બાપુએ નિલકંઠવર્ણી વિવાદ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું, 'તપસ્વીનું રૂપ ક્ષમા છે. ક્ષમા મારી ઘડપણની લાકડી છે. મારે કોઇ પાસે ક્ષમા મંગાવવી નથી. મારે ક્ષમાની જરૂર નથી. જે કોઇએ ક્ષમા માંગવી હોય એ આ વ્યાસપીઠ અને સનાતન ધર્મની માંગવી જોઇએ. ઘણા લોકો એવું કહે છે કે બાપુ અમે વચ્ચે આવીએ. કોઇએ વચ્ચે આવવાની જરૂર નથી. મેં કજીયો કર્યો નથી. હું વિવાદનો નહીં પરંતુ સંવાદનો માણસ છું. આમ હું કિનારે બેસીને જોઇ રહ્યો છું.'

નિલકંઠવર્ણી વિવાદ છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહ્યો છે. સ્વામિનારાયા સંપ્રદાયના સાધુ મોરારિ બાપુ માફી માગે એવી માંગ સાથે અનેક સાધુ સંપ્રદાયો સામે આવ્યા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ દ્વારા કલાકારોને દારૂડિયા કહેવાની પ્રતિક્રિયા બાદ માયાભાઈ આહિર, કિર્તિદાન ગઢવી, જય વસાવડા, હેમંત ચૌહાણ, જીજ્ઞેશ કવિરાજ સહિતના ઘણા કલાકારોએ પોતાના એવોર્ડ પરત કર્યા હતા.