મોરબીઃ મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટના મામલે મોરબીની સેશન્સ કોર્ટમાં આજે ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. મોરબીની કોર્ટમાં પોલીસ દ્વારા ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. આ કેસમાં 10મા આરોપી તરીકે ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઇ પટેલનું નામ નામ સામેલ છે. અત્યાર સુધીમાં નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે 30 ઓક્ટોબર, 2022 ના રોજ મોરબીનો ઝૂલતા પુલ તૂટી પડ્યો હતો જેમાં 135 લોકોના મોત થયા હતા


ચાર્જશીટમાં 10મા આરોપી તરીકે જયસુખભાઇ પટેલનું નામ સામેલ છે. જયસુખ પટેલ વિરુદ્ધ કલમ  308, 304, 336, 338 અને 114 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તાજેતરમાં હાઇકોર્ટમાં ઓરેવા ગ્રુપ તરફથી વળતર આપવાની વાત રજૂ કરવામાં આવી હતી. ચાર્જશીટ દાખલ થયા બાદ જેલમાં રહેલા આરોપીઓ ફરી એક વખત પોતાની જામીન અરજી રજૂ કરશે.


મોરબી બ્રિજ તૂટવાને લઈ આરોપી જયસુખ પટેલે હાઇકોર્ટમાં મોટું નિવેદન આપ્યું હતુ. તેણે કહ્યું, મોરબી બ્રિજ તૂટવાની ઘટનાનો અફસોસ છે. મોરબી બ્રિજની મરામતનું કામ કરવા માટે મને વગદાર લોકોએ કામ સોંપ્યું હતું. કોમર્શિયલ એક્ટિવિટી નો કોઈ ઈરાદો નહોતો, હેરિટેજ બચાવવા માટે કામ હાથમાં લીધું હતું.


વળતર ચૂકવવાથી હું અન્ય જવાબદારી કે કેસમાંથી છટકી શકુઃ જયસુખ પટેલ

રાજકોટના જામ ટાવરના મેન્ટેનન્સની જવાબદારી પણ સોંપાય છે. મૃતકો કે ઇજાગ્રસ્તોને વળતર ચૂકવવાથી હું અન્ય જવાબદારીઓ કે કેસમાંથી છટકી નહીં શકું પરંતુ હું મારો યોગ્ય રીતે બચાવ કરવા માગું છું. 135 લોકોના જીવ જવાની ઘટના ઘણી દુખદછે પણ સ્વેચ્છાએ વળતર ચૂકવવા માગું છું.

ક્યારે બની હતી દુર્ઘટના


30 ઓક્ટોબર 2022ના રોજ ગુજરાતના મોરબી શહેરમાં મચ્છુ નદી પરનો ઝુલતો પુલ તૂટી પડ્યો, જેના કારણે 130થી વધુ લોકોનાં મોત થયા હતા. 19મી સદીમાં બંધાયેલો આ પુલ ચાર દિવસ અગાઉ સમારકામ માટે લાંબા સમય સુધી બંધ રહ્યા બાદ નવા વર્ષના દિવસે ફરીથી ખોલવામાં આવ્યો હતો.


ક્યારે બન્યો હતો આ પુલ


આ ઝૂલતા પુલનું ઉદ્ઘાટન 20 ફેબ્રુઆરી 1879ના રોજ, મુંબઈના એ વખતના ગવર્નર રિચર્ડ ટેમ્પલના હસ્તે કરાવાયું હતું. પુલના નિર્માણ માટે જરૂરી તમામ સામગ્રી ઇંગ્લૅન્ડથી આવી હતી અને નિર્માણ પાછળ એ વખતના 3.5 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. શહેરની મુલાકાત લેનારાઓનું સ્વાગત આ ઝૂલતો પુલ કરતો હતો અને એ વખતમાં એને 'કલાત્મક અને ટેકનૉલૉજિકલ ચમત્કાર' ગણાવાતો હતો.