અમદાવાદઃ પ્રાથમિક શિક્ષણને વધુ ગુણવત્તાયુક્ત બનાવવા કમર કસી છે. ધોરણ 5 અને ધોરણ 8 માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને વધુ એક તક અપાશે. નાપાસ વિદ્યાર્થીઓ વાર્ષિક પરીક્ષાના બે મહિનાના સમયગાળામાં વધારાનું શિક્ષણ મેળવીને ફરી પરીક્ષા આપી શકશે. અને તેમા પણ જો નાપાસ થાય તો તેમને નાપાસ ગણવામાં આવશે.


RTE એકટ અંતર્ગત બાળકોના મફત અને ફરજીયાત શિક્ષણના નિયમ-૨૦૦૯ની કલમ–૧૪માં ભારત સરકારે ૧૦મી જાન્યુઆરી–૨૦૧૮ના રોજ મહત્વનો સુધારો કરતાં રાજય સરકારે પણ તા.૨૧/૯/ર૦૧ન્ના રોજ જાહેરનામુ બહાર પાડીને બાળકોને મફત શિક્ષણનો અધિકાર નિયમો-ર૦૧રના નિયમ–૨૪માં મહત્વનો સુધારો કર્યો છે.

આ ફેરફાર અંતર્ગત દરેક શૈક્ષણિક વર્ષને અંતે ધોરણ–૧ અને ધોરણ-૮માં વર્ષાત(વાર્ષિક) પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષામાં વિદ્યાર્થી જો નાપાસ થાય તો વાર્ષિક પરીક્ષા પછીના બે માસના સમયગાળા દરમ્યાન વધારાનું શિક્ષણ પુરૂ પાડી પરીક્ષાની વધુ એક તક આપવામાં આવશે. તેમાં પણ જો નાપાસ થાય તો તેને નાપાસ કરવામાં આવશે. આ પરીક્ષાઓ જી.સી.ઈ.આર.ટી. દ્વારા લેવામાં આવશે. આ જોગવાઈનો અમલ શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦થી કરાશે.

આ પરીક્ષાઓમાં નાપાસ થયેલ બાળક અન્ય શાળામાં પ્રવેશ મેળવે તેવા સંજોગોમાં ઉમર આધારિત પ્રવેશને બદલે તે બાળક જે ધોરણમાં નાપાસ થયેલ હોય તે જ ધોરણમાં પુનઃપ્રવેશ આપવાનો રહેશે.

પ્રાથમિક શાળામાં દાખલ કરવામાં આવેલા કોઈપણ બાળકને પ્રાથમિક શિક્ષણ પુરું થતા સુધીમાં આ સિવાયના કોઈપણ કારણસર કોઈ ધોરણમાં રોકી શકાશે નહીં. આ ઉપરાંત કોઈ બાળકનું પ્રાથમિક શિક્ષણ પુરું ન થાય ત્યાં સુધી શાળામાંથી કાઢી શકાશે નહીં. 21મી જુલાઈએ પ્રોફેસરો, શિક્ષકો અને નિવૃત શિક્ષક સહિત તમામે મુખ્યપ્રધાન સાથે બેઠક કરી હતી. અને ત્યારબાદ 10મી ઓગસ્ટે ફરી બેઠક થઈ હતી.