કોરોનાની બીજી લહેરમા કેસના વધારાની સીધી અસર મ્યુકરમાઈકોસીસના દર્દીઓની સંખ્યા પર પણ પડી છે. પ્રથમ લહેરમાં જ્યાં ચાર મહિના દરમિયાન કુલ ૧૮૦ સર્જરી થઈ હતી ત્યાં આ વર્ષે બીજી લહેરમાં માત્ર દસ દિવસમાં ૨૫૦થી વધુ સર્જરી થઈ ચુકી છે. જો કે અત્યાર સુધી થયેલી કુલ સર્જરીમાં મોતનું પ્રમાણ ખૂબ જ ઓછુ છે અને મોટા ભાગના ઓપરેશનો સફળ રહ્યા છે.


ગયા વર્ષે કોરોનાની પ્રથમ લહેરમાં કોરોનાના કેસ ઘટતા ધીરે ધીરે મ્યુકર માઈકોસિસના દર્દીઓ સારવાર માટે આવવાનું શરૂ થઈ ગયુ હતુ. ત્રણથી ચાર મહિના દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિલમાં કુલ ૧૮૦ જેટલા બ્લેક ફંગસના ઓપરેશનો થયા. ત્યારે આ વર્ષે કોરોનાની બીજી લહેરમાં તો માત્ર દસ દિવસમાં જ ૨૫૦થી વધુ ઓપરેશનો થઈ ચુક્યા છે.


રાજ્યમાં મ્યુકરમાઈકોસિસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યના પાંચ શહેરોમાં મ્યુકરમાઈકોસિસના નવા 62 કેસ નોંધાયા છે. જ્યારે સાત દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. અમદાવાદ સિવિલમાં જ મ્યુકરમાઈકોસિસના 600થી વધુ કેસ છે.


મ્યુકરમાઈકોસિસના સૌથી વધુ નવા કેસ રાજકોટ શહેરામં નોંધાયા છે. રાજકોટમાં નવા 20, વડોદરામાં નવા 19, અમદાવાદમાં નવા 14, સુરતમાં નવા છ અને જામનગરમાં નવા ત્રણ કેસ નોંધાયા છે. તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ મ્યુકરમાઈકોસિસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.


બનાસકાંઠા જિલ્લામાં એક મહિનામાં મ્યુકરમાઈકોસિસના 23 કેસ નોંધાયા છે. જ્યારે પાંચના મોત નિપજ્યા છે. જ્યારે પાટણ જિલ્લામાં મ્યુકરમાઈકોસિસના 11 કેસ નોંધાયા છે. તો સાતને અમદાવાદ રિફર કરાયા છે. આણંદ જિલ્લામાં મ્યુકરમાઈકોસિસના 34 દર્દીઓ સારવાર હેઠળ છે. સાબરકાંઠા જિલ્લામાં મ્યુકરમાઈકોસિસના 43 કેસ નોંધાયા છે.


અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવેલ ડેંટલ હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસના 70 દર્દીઓની સર્જરી કરવામાં આવી છે. જેમાં દર્દીઓના દાંત-દાઢ સહિત જડબા-તાળવા કાઢવા પડ્યા છે. કેસ વધતા ડેંટલ હોસ્પિટલમાં ચાર ઓપરેશન થિયેટરમાં હાલ સર્જરી કરવામાં આવી રહી છે. જેમાં એક ડેંટલ હોસ્પિટલ, એક પેરાપ્લેજિયા અને બે કિડની હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર કાર્યરત કર્યા છે. જ્યાં રોજ આશરે 12 જેટલા ઓપરેશન થઈ રહ્યાં છે.


અમદાવાદ સિવિલમાં મ્યુકર માઈકોસિસના 600થી વધુ કેસ થઈ છે. જેામં 140 જેટલા દર્દીઓ ઓપરેશન માટે વેઈટિંગમાં છે. તો અત્યાર સુધીમાં 37 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે.


અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસના દર્દીઓ માટે મહત્વના સમાચાર છે. મ્યુકરમાઈકોસિસના દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાતા ઈંજેક્શન એમ્ફોટેરેસિન બી હવે એલજી હોસ્પિટલને બદલે સિવિલ હોસ્પિટલમાંથી મળશે. છેલ્લા ચાર દિવસથી એલજી હોસ્પિટલ અને અમદાવાદ મનપાએ યોગ્ય વ્યવસ્થા ન કરતા આખરે સિવિલ હોસ્પિટલમાંથી ઈંજેક્શન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.