મૂળીઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. એમ પણ કોરોના કેસો અમદાવાદ, સુરત અને વડોદરામાં સૌથી વધુ છે. જોકે, અત્યાર સુધી કોરોના અમુક જિલ્લાઓમાં નહોતો ફેલાયો, પરંતુ હવે ગુજરાત અને બીજા રાજ્યોમાંથી લોકો પોતાના વતન પરત ફરવા લાગતાં આ જિલ્લાઓમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં શરૂઆતમાં એક કેસ નોંધાયો હતો, પરંતુ તે રિકવર થઈ જતાં એક પણ એક્ટિવ કેસ નહોતો. જોકે, બહારથી આવેલા લોકોને કારણે કોરોનાએ ફરીથી એન્ટ્રી કરી હતી.


સુરેન્દ્રનગરમાં થાન પછી મૂળી તાલુકામાં કોરોનાના કેસો નોંધાયા હતા. ત્યારે હવે ફરીથી બે વધુ કેસ મૂળી તાલુકામાં નોંધાયા છે. મુળી તાલુકાના ઉમરડા ગામમાં વધુ બે કોરોના વાયરસના પોઝિટિવ કેસો નોંધાયા છે. અગાઉ કોરોના પોઝિટિવ આવેલ દર્દીઓના પરિવારજનોમાંથી જ વધુ બે કેસ નોંધાયા છે.

સગા ભાઈ અને બહેન કોરોના પોઝિટિવ આવતા સારવાર અર્થે સુરેન્દ્રનગર શહેરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. પ્રાથમિક તપાસમાં બંને દર્દીઓ બે દિવસ પહેલા અમદાવાદથી આવ્યા બાદ હોમ ક્વોરન્ટાઇન હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં દર્દીઓની કુલ સંખ્યા ૧૫ ઉપર પહોંચી છે.