અમદાવાદઃ સમગ્ર દેશમાં કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે હજુ સુધી તેની દવાઈ કે રસી શોધાઈ ન હોય તેની સારવારને લઈને અનિશ્ચિતતા જોવા મળી રહી છે.  વિશ્વના અનેક વૈજ્ઞાનિકો અને કંપનીઓ તેની દવા અને રસી શોધવામાં લાગ્યા છે ત્યારે ગુજરાતમાં હવે લોકોને કોરોનાની સારવાર માટે આયુર્વેદ પર ભરોસો વધ્યો છે.


ગુજરાત સરકાર અમદાવાદમાં કોવિડ હોસ્પિટલોમાં ખૂબ જ નજીવા લક્ષણો ધરાવતા દર્દીઓની સંમંતિ લઈને આયુર્વેદ -હોમિયોપેથીની સારવાર શરૂ કરાતા એક હજારથી વધુ દર્દીએ આયુર્વેદ -હોમિયોપેથી ઉપચારની સંમંતિ આપી છે.

કોરોનાના કેસો વધ્યા બાદ સૌપ્રથમ આયુષ વિભાગ દ્વારા કોરોનાના એસીમ્પ્ટોમેટિક અને કોરોન્ટાઈન કરાયેલા કોવિડ કેર સેન્ટર ખાતેના દર્દીઓ પર આયુર્વેદિક દવાઓનો પ્રયોગ કરવામા આવ્યો હતો અને જેમાં સારુ એવુ પરિણામ મળ્યુ હતુ.

અમદાવાદની સિવિલ ખાતેની કોવિડ હોસ્પિટલ અને એસવીપી હોસ્પિટલોમાં દાખલ દર્દીઓને આયુર્વેદિકની સારવાર આપવાનું શરૂ કરાતા સરકારે ગત ૧૬મીથી બે-બે આયુર્વેદિક અને હોમિયોપેથી ડોક્ટરો પણ અન્ય ડોક્ટરો સાથે નિમવા માટે આદેશ કર્યો હતો.

આ બંને હોસ્પિટલોમાં દર્દીની સંમંતિ લઈને આયુર્વેદિક અને હોમિયોપેથીની સારવાર આપવાનું શરૂ કરાતા ૧૯મી સુધી ચાર દિવસમાં ૭૬૬ દર્દીએ આયુર્વેદિકની દવાઓ લેવા સંમંતિ આપી છે. જેમાં  સિવિલ હોસ્પિટલમાં ૪૭૫ દર્દી અને એસીવીપીમાં ૧૬૪ તેમજ સિવિલ ઓપીડીમાં ૨૭ દર્દીઓ છે. આ ઉપરાંત  ચાર દિવસમાં ૩૨૦ દર્દીએ હોમિયોપેથીની દવાઓ લેવા સંમંતિ આપી છે.