ગાંધીનગર : લોકડાઉન બાદ પણ રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં દિવસેને દિવસે સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19નાં નવા 398 કેસ સામે આવ્યા છે અને વધુ 30 દર્દીઓનાં મોત થયા છે. જ્યારે 176 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 12,539 પર પહોંચી છે અને મૃત્યુઆંક 749 થયો છે. પત્રકાર પરિષદમાં સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી હતી.


આજે નવા નોંધાયેલ કેસમાં અમદાવાદમાં 271, સુરત 37, વડોદરા 26, મહિસાગર- 15, પાટણ-15, કચ્છ- 5, અરવલ્લી-4, ગાંધીનગર-3, નવસારી-3, સુરેન્દ્રનગર-3, બનાસકાંઠા-2, આણંદ-2, ખેડા-2, વલસાડ-2, જામનગર-1, ભરૂચ- 1, દાહોદ-1, જૂનાગઢ-1 અને અન્ય રાજ્યનો એક કેસ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 30 લોકોનાં મોત થયા છે. જેમાંથી 15નાં મોત પ્રાથમિક રીતે કોવિડ-19નાં કારણે જ્યારે 15નાં મોત કોરોના તથા કોમોબીડીટી, હાઈરીસ્ક જેવી અન્ય બીમારીના કારણે થયા છે. આજે અમદાવાદમાં 26 , સુરત, ગાંધીનગર, પાટણ, સાબરકાંઠામાં 1-1 મોત થયું છે.

રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલ કુલ કેસ પૈકી 47 દર્દી વેન્ટિલેટર પર છે અને 6524 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 5219 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 160772 ટેસ્ટ થયા જેમાંથી 12539 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે.