મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના લાખો ખેડૂતોને ખરીફ ઋતુમાં કુદરતી આપત્તિથી થતાં પાક નુક્સાન સામે સહાયરૂપ થવા મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને વર્ષ 2021 ને મંજૂરી આપી છે. આ યોજનામાં રાજ્યના નાના-મોટા તેમજ સિમાંત બધા જ ખેડૂતોને આવરી લેવામાં આવ્યા છે. રાજ્યના અંદાજે 53 લાખથી વધુ  ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.  આ યોજના માટે ખેડૂતે કોઇ જ પ્રીમિયમ કે અન્ય કોઇપણ પ્રકારની નોંધણી ફી ભરવાની રહેશે નહીં. અનાવૃષ્ટિ-દુષ્કાળ-અતિવૃષ્ટિ-કમોસમી વરસાદ-માવઠું જેવા જોખમથી થતા પાક નુક્સાનને પણ આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં આવરી લેવામાં આવ્યા છે.


મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના સહાય ધોરણ અંગેની વાત કરવામાં આવે તો, ખરીફ ઋતુમાં થયેલ પાક નુક્સાનની ટકાવારી 33થી 60 ટકા હોય તો પ્રતિ હેક્ટર રૂપિયા 20,000ની સહાય વધુમાં વધુ 4 હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે. એટલું જ નહીં, ખરીફ ઋતુમાં થયેલ પાક નુક્સાન 60 ટકાથી વધુ હોય તો પ્રતિ હેક્ટર રૂપિયા 25,000ની સહાય મહત્તમ 4 હેક્ટરની મર્યાદામાં અપાશે.


વન અધિકાર કાયદા હેઠળ સનદ ધરાવતા વનબંધુ ખેડૂતોને પણ લાભ મળશે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોની અરજી ઓનલાઇન મેળવવા ડેડિકેટેડ પોર્ટલ પણ તૈયાર કરાશે. લાભાર્થી ખેડૂતોએ ઇ-ગ્રામ સેન્ટર ઉપર જઇ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહશે. ખેડૂતોને અરજી માટે કોઇપણ પ્રકારની ચૂકવણી કે ફી ભરવાની રહેશે નહીં. તેમજ અરજીની ડેટા એન્ટ્રી માટે રાજ્ય સરકાર સંપૂર્ણ ખર્ચ ચૂકવશે.


આ મુખ્યમંત્રી સહાય યોજનામાં પ્રાથમિક આકારણી અને ખેડૂતોની અરજીના આધારે લાભની ગણતરી તેમજ તાલુકા કક્ષાએથી સહાય મંજૂર થયા બાદ જિલ્લા કક્ષાએથી સહાયની રકમ લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં સીધી DBT દ્વારા ચૂકવવામાં આવશે. આ યોજનાના સુચારુરૂપ અમલીકરણ તેમજ ખેડૂતોના માર્ગદર્શન માટે ટોલ ફ્રી નંબરની સુવિધા પણ આપવામાં આવી છે. આ યોજના ઉપરાંત જે ખેડૂત લાભાર્થીઓને એસ.ડી.આર.એફ યોજનાની જોગવાઇઓ મુજબ લાભ મળવાપાત્ર હશે તો તે પણ મળવાપાત્ર થશે.


રાજ્યના ખેડૂતો આખું વર્ષ મહેનત કરતા હોય ત્યારે ઘણી વખત કુદરતી પરિબળો સાથ ના આપે અને કુદરતી આપત્તિના કારણે પાકને નુકસાન જાય ત્યારે ગુજરાત સરકાર હંમેશા રાજ્યના લાખો ખેડૂતોના પડખે રહી છે અને ખેડૂતો માટે સહાયરૂપ પેકેજ પણ આપતી આવી છે.