રાજપીપળા: નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોના પોઝિટિવ કેસોમાં અચાનક વધારો નોંધાય રહ્યો છે. કેવડિયા કોલોનીમાં એસઆરપી ગ્રુપના વધુ 8 જવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવ ની સંખ્યા 46 પર પહોંચી છે.


આજે નોંધાયેલા તમામ 8 દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી સુરતથી કેવડિયા કોલોનીની છે. આ પહેલા ગઈકાલે 4 જવાનો કોરોના સંક્રમિત થયા હતા. કેવડિયા કોલોની વિસ્તારમાં જ અત્યાર સુધીમાં કોરોનાના કુલ 14 કેસ નોંધાયા છે. આ તમામ કેસ એસઆરપી ગ્રુપના જવાનોના જ છે.

હાલ નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવના 23 દર્દીઓને કોવિડ હોસ્પિટલ રાજપીપલા ખાતે સારવાર અપાઈ રહી છે.

ગુજરાતમાં અત્યાર સુધી કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 26 હજારને પાર પહોંચી ગઈ છે જ્યારે 1600થી વધુ દર્દીના કોરોનાથી મોત થયા છે. અત્યાર સુધી 18702 દર્દીઓ કોરોનાના ભરડામાંથી બહાર આવ્યા છે.