ભુજઃ આજથી માઁ જગદંબાની આરાધનાનો મહાપર્વ નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. આ વર્ષે કોરોનાનું ગ્રહણ લાગતા અર્વાચીન તેમજ પ્રાચીન રાસ ગરબા જાહેરમાં યોજાશે નહિં. સમગ્ર રાજ્યમાં નવરાત્રી પર્વની ઉજવણી લોકો ઘરમાં રહીને જ કરશે. રાજ્ય સરકારની માર્ગદર્શિકા અનુસાર દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લા રહેશે પરંતુ કચ્છમાં આવેલ માતાજીનો મઢ-આશાપુરા ધામ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.


શક્તિપીઠ અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે સરકારી માર્ગદર્શિકા અનુસાર ખુલ્લુ રહેશે. અને દર્શનાર્થીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ચોટીલામાં માઁ ચામુંડાનું મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લુ રહેશે. અહીં આવનારા દર્શનાર્થીઓએ ગાઇડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ દરેક દર્શનાર્થીઓએ મંદિરમાં દર્શન કરવા જાય ત્યારે સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્કનું ચુસ્ત પાલન કરવું જરૂરી છે.

નવ દિવસનું મહત્વ

નવરાત્રી હિન્દુ ધર્મનો સૌથી લાંબો અને વધુ સમય સુધી ઉજવાતો તહેવાર છે. આ પાછળનું ધાર્મિક કારણ એ છે કે, માતાજીએ સતત નવ દિવસ સુધી જુદા જુદા સ્વરૂપ સાથે રાક્ષસોનો સંહાર કર્યો હતો. આ પ્રત્યેક સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. માતાજીના આ દરેક સ્વરુપના ગુણ અને ખૂબીઓ જુદી જુદી છે. આમ તો દરેક તિથિમાં પૂનમ અને આઠમનું ખૂબ મહત્વ હોય છે.

આપણે ત્યાં આઠમના દિવસે વિશેષ હવન પૂજનનું આયોજન કરવામાં આવે છે. આવું એટલા માટે કારણ કે આઠની તિથિની શુભ અને પવિત્ર માનવામાં આવે છે. મહાનગરમાં આઠમના દિવસે ખાસ પ્રાચિન રાસ પર ગરબા લેવામાં આવે છે. જેમ જેમ સમય આગળ વધતો ગયો તેમ ગરબામાં પણ એક વૈવિધ્ય આવતું ગયું. ગરબામાં અગાઉ માટીના રંગના ગરબા તેમાં નાના-નાના કાણામાંથી ફેલાતો પ્રકાશ કુદરતી લાઈટ્સ પરના શેઈડ જેવો લાગતો હતો. આજને ફેન્સી ગરબા ઓન ડિમાન્ડ છે.