પ્રાણી પ્રેમી નવાબ મહાબત ખાન પ્રજા પ્રેમી હતા. જૂનાગઢ રાજયની વસ્તી મોટાભાગે હિન્દુઓની હતી. છતાં નવાબ માટે પ્રજાને ખૂબ આદર અને માન હતું. નવાબને નાટકનો ખૂબ જ શોખ હતો. તેમના સમયમાં જૂનાગઢમાં રંગમંચના કલાકારોને ખૂબ સન્માન આપવામાં આવતુ હતુ. તેમણે જૂનાગઢમાં નાટક માટે રંગમંચ બનાવ્યો હતો જેમાં દેશના નામી કલાકારોને બોલવવામાં આવતા હતા અને તેઓ તેમના અભિનય દ્રારા નવાબને ખુશ કરી માન સન્માન અને મોંઘી ભેટ સોગાદો મેળવતા. રંગમંચના કલાકારો જૂનાગઢમાં સ્થાયી થાય તે માટે કલાકારોને રહેવા માટે મકાન અને પગાર આપવાની શરુઆત નવાબે કરી હતી. 




(જૂનાગઢ રંગમંચ અને નવાબ મહાબત ખાન ત્રીજા)


નવાબના શ્વાન પ્રેમ અને નાટક પ્રેમને પગલે તેમનુ ધ્યાન રાજકાજ પર ઓછુ રહેતુ પરિણામે દીવાન કામગીરી સંભાળતા. જૂનાગઢ રાજના મહત્વના નિર્ણયો દીવાન લઈ લેતા અને નવાબને માત્ર જાણકારી આપતા. પરિણામ એ આવ્યુ કે દેશની આઝાદી બાદ જૂનાગઢની પ્રજાએ નવાબના નિર્ણયને પગલે સહન કરવાનો વારો આવ્યો. 1947ના મે મહિનામાં નવાબ મહાબત ખાન વિદેશમાં ફરવા ગયા હતા. તે સમયે જૂનાગઢના દીવાન અબ્દુલ ખાદીર મુહમ્મદ હુસૈન ખૂબ બિમાર પડયા. દીવાન તબીબી સારવાર માટે વિદેશ જવા રવાના થયા. દીવાન સારવાર માટે વિદેશ જતાં હોય અને જૂનાગઢ નવાબ પણ વિદેશમાં ફરવા ગયા હોય ત્ત્યારે રાજકાજની જવાબદારી શાહનવાઝ ભુટ્ટોને પાસે હતી.


કોણ હતા શાહનવાઝ ભુટ્ટો


શાહનવાઝ ભુટ્ટો પાકિસ્તાનના સિંધ વિસ્તારમાં આવેલા લારકાના જાગીરદાર પરિવારથી આવતા હતા.શિયા મુસ્લિમ જાગીરદાર પરિવારથી આવતા ભુટ્ટોની પરવરીશ ખૂબ જાહોજલાલીથી થઈ હતી.નાનપણથી મોંધી વસ્તુઓ વાપરવાનો શોખ ધરાવતા ભુટ્ટો ભણવામાં ખૂબ જ હોશિયાર હતા. તેઓએ પ્રાથમીક શિક્ષણ સિંધમાં લઈ ઉચ્ચ શિક્ષણ કરાંચીમાં લીધુ હતુ. વર્ષ 1921માં શાહનવાઝ ભુટ્ટો 33 વર્ષની ઉંમરે બોમ્બે વિધાનસભામાં ચૂંટાયા હતા. તે સમયે હાલ પાકિસ્તાનનો સિંધ વિસ્તાર બોમ્બે વિધાનસભાનો એક ભાગ હતો. 1936 સુધી તેઓ આ વિધાનસભાના સભ્ય તરીકે કાર્યરત રહ્યા જે દરમિયાન વર્ષ 1934માં તેઓ બોમ્બે સરકારમાં મંત્રી પણ બન્યા હતા.  1એપ્રિલ 1936ના રોજ સિંધ અલગ પ્રાંત બન્યો. શાહનવાઝ ભુટ્ટોને સિંધના રાજ્યપાલના મુખ્ય સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.  શાહનવાઝ ભુટ્ટો ખૂબ ચતુર રાજનેતા હતા. તેમની આ આવડતને પગલે તેઓ કોઈપણ વ્યકિતને પહેલી મુલાકાતમાં જ સંબંધ કેળવી લેતા. વર્ષ 1947ની  શરૂઆતમાં, શાહનવાઝ ભુટ્ટો આધુનિક ગુજરાત પ્રાંતમાં જૂનાગઢના નવાબ મહાબત ખાન ત્રીજાના મંત્રી પરિષદમાં જોડાયા. મંત્રી પરિષદમાં જોડાયા બાદ ખૂબ ઓછા સમયમાં શાહનવાઝ ભુટ્ટોએ તેમની આવડત પ્રમાણએ નવાબની નજીકના ગણાવા લાગ્યા જેથી નવાબે ભુટ્ટોને 30 મે 1947ના જૂનાગઢના નવા દીવાન બનાવ્યા હતા. બસ અહીંથી નવાબ અને જૂનાગઢના વળતા પાણીની શરુઆત થાય છે.  




(શાહનવાઝ ભુટ્ટો)


આ સમય દરમિયાન 1947માં અંગ્રેજો ભારત છોડવાનો નિર્ણય કરે છે. બ્રિટીશરોના છેલ્લા વાઈસરોય લોર્ડ માઉન્ટબેટન દિલ્હીમાં તમામ રાજા રજવાડા અને તેમના દીવાનને મળવા બોલાવે છે અને તેમનો મત જાણે છે. જૂનાગઢના નવાબ વિદેશમાં હોય અને પૂર્વ દીવાન અબ્દુલ ખાદીર મુહમ્મદ હુસૈનના ભાઈ નબી બક્શ જે નવાબના સંસદીય સલાહકાર હતા તેઓ દિલ્હી પહોંચે છે. તેઓની લોર્ડ માઉન્ટબેટન સાથે વાતચીત બાદ તેઓ ભારતમાં ભળશે તેવા વિચાર વ્યકત કરે છે. દિલ્હીમાં નબી બક્શ સરદાર પટેલ અને અન્ય લોકોને મળી જૂનાગઢ ભારતમાં ભળશે તેવી બાંહેધરી આપે છે. જોકે નબી બક્શની વાતને જૂનાગઢના નવા દીવાન શાહનવાઝ ભુટ્ટો અસહમત થાય છે. શાહનવાઝ ભુટ્ટો અને પાકિસ્તાનના જનક મહમદ અલી ઝીણા બન્ને ખૂબ સારા મિત્રો હતા. મહમદ અલી ઝીણા જાણતા હતા કે જો  જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવવુ હોય તો શાહનવાઝ ભુટ્ટોની મંજૂરી વગર અશક્ય છે. જૂનાગઢ નવાબ વિદેશમાં હતા તે મહમદ અલી ઝીણા જાણતા હતા. શાહનવાઝ ભુટ્ટોએ વિદેશથી પરત ફરેલા નવાબ મહાબત ખાનને ભારતના બદલે પાકિસ્તાનમાં ભળવુ હિતાવહ હોવાની સલાહ આપે છે. નબી બકશે ભારતમાં જોડાવાની ઈચ્છા વ્યકત કરી હોવાની વાત નવાબ સુધી શાહનવાઝ પહોંચવા દેતા નથી. કોઈપણ વ્યકિત નવાબની મુલાકાતે આવે તો તેમની તબીયત નાદુરસ્ત હોવાનુ રટણ કરી ભુટ્ટો તેમને મળવા દેતા નથી.  એ સમયે ઉછરંગરાય ઢેબર અને ભારત સરકારના રિયાસતી ખાતાના સચિવ વી.પી.મેનન  નવાબને મળવા માટે જૂનાગઢ પહોંચે છે, પરંતુ  શાહનવાઝ ભુટ્ટો બંને મહાનુભાવોને નવાબને મળવા નથી દેતા.  




(મહમદ અલી ઝીણા અને શાહનવાઝ ભુટ્ટો)


મહમદ અલી ઝીણા અને શાહનવાઝ ભુટ્ટોએ સાથે મળી નવાબ મહોબત ખાનને પાકિસ્તાનમાં ભળી જવા માટે રાજરમત રમી રહ્યા હતા. આ વાતથી નવાબ અજાણ હતા જે તેમના માટે ઘાતક સાબિત થાય છે. અંતે નવાબે પાકિસ્તાનમાં ભળવાનો નિર્ણય કર્યો. નવાબ મહાબત ખાન ત્રીજાના નિર્ણયથી જૂનાગઢના લોકોમાં ભયંકર રોષ ફાટી નિકળ્યો.  શાહનવાઝ ભુટ્ટો નવાબને પાકિસ્તાન  જવાની સલાહ આપે છે. જૂનાગઢ નજીકના કેશોદ હવાઈમથકથી તેઓ પોતાના રસાલા સાથે કરાંચી જવા રવાના થાય છે. બીજી તરફ જૂનાગઢનું સુકાન દીવાન શાહનવાઝ ભુટ્ટો સંભાળે છે.  જૂનાગઢની જનતામાં પાકિસ્તાનમાં ભળવાને લઈ લોકરોષ સતત વધી રહ્યો હોય છે, બીજી તરફ  લોકરોષને ખાળવા માટે શાહનવાઝ ભુટ્ટો તેમના લશ્કરને છૂટો દોર આપે છે. જૂનાગઢને પાકિસ્તાનમાં જતુ રોકવા મુંબઈમાં આરઝી હકૂમતની સ્થાપના કરવામાં આવે છે.


(જૂનાગઢને સ્વતંત્ર કરી ભારતમાં સમાવવા મુંબઈમાં શામળદાસ ગાંધીની આગેવાની હેઠળ આરઝી હકૂમત કઈ રણનીતિ અપનાવે છે તે અંગે આવતા અંકમાં વાંચીશું...)