ગાંધીનગર: પેપર લીકેજ, અનેકવાર ચોરીઓને કારણે રદ થયેલી બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષા ધોરણ-10 અને 12ની બોર્ડ એક્ઝામ પછી લેવામાં આવશે તેવું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વિધાનસભામાં જાહેર કર્યું હતું.


ભરતી મુદ્દે ચાલી રહેલા ગોટાળા મુદ્દે વિપક્ષે ગૃહમાં પસ્તાળ પાડી હતી. ઉનાના ધારાસભ્ય પૂંજા વંશે તટસ્થ, પારદર્શકપણે સરકારી ભરતી નવ થવાને કારણે ઉંમર વીતિ જવાને કારણે એક આખી પેઢી નોકરીથી વિંચિત રહી છે. તલાટી ભરતીમાં થયેલા કૌભાંડોનો ઉલ્લેખ કરીને તેમણે સમયસર ભરતી ન થવાથી ગ્રામ્ય-તાલુકા અને જિલ્લા પંચાયતના ત્રિસ્તરીય માળખામાં નાગરીકોના કામો વિલંબમાં પડી રહ્યાનું જણાવ્યું હતું.

ભિલોડાના ડો.અનિલ જોષીયારાએ ભરતી વિવાદમાં આદિવાસી મહિલા ઉમેદવારોને ભારે અન્યાય થઈ રહ્યાનું જણાવીને ST કેટેગરીમાં ન્યુમરેરી જગ્યાઓ માટે મેરિટમાં રહેલી ત્રુટીઓ ઉકેલવા માંગણી કરી હતી. ચર્ચાને અંતે જવાબ આપતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આવા આક્ષેપો ફગાવ્યા હતા.

તેમણે કહ્યું હતું કે, બિન સચિવાલયની ભરતીમાં પેપર લિક થયાનું ધ્યાને આવતાં મુખ્યમંત્રીએ પરીક્ષા રદ કરવા નિર્ણય કર્યો હતો.