ગુજરાતમાં નવરાત્રિમાં ગરબાના આયોજનને મુદ્દે નીતિન પટેલનું મોટું નિવેદન, જાણો મંજૂરી મળશે કે નહીં?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 01 Oct 2020 09:44 AM (IST)
ધાર્મિક માન્યતાને ધ્યાનમાં રાખી ગરબાનું સોસાયટી કે ગામમાં આયોજન કરવા બાબતે હાલ કોઈ નિર્ણય નતી લેવાયો અને કેન્દ્રની છૂટછાટ ના આધારે આગામી દિવસોમાં નિર્ણય લેવાશે.
પ્રતિકાત્મક તસવીર.
ગાંધીનગરઃ નવરાત્રિ નજીક આવતી જાય છે ત્યારે ગુજરાતમાં ગરબાના આયોજનને મંજૂરી મળશે કે નહીં એ અંગે લોકોમાં ભારે ઉત્સુકતા છે. આ માહોલમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે, રાજ્યમાં મોટા ગરબા આયોજનની મંજૂરી મળે તેવી શક્યતા હાલમા નથી. તેમણે ઉમેર્યું કે, ગ્રામીણ કક્ષાએ કે પછી શહેરોમાં શેરીગરબા સંદર્ભે કેવી રીતે પરમિશન આપી મંજૂરી આપવી તે મુદ્દે હાલ સુધી કોઈ નિર્ણય કર્યો નથી. તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે, ખાનગી સોસાયટીમાં ગરબાને મંજૂરીની પણ શકયતા જણાતી નથી. તેમણે સ્પષ્ટતા કરી કે, ધાર્મિક માન્યતાને ધ્યાનમાં રાખી ગરબાનું સોસાયટી કે ગામમાં આયોજન કરવા બાબતે હાલ કોઈ નિર્ણય નતી લેવાયો અને કેન્દ્રની છૂટછાટ ના આધારે આગામી દિવસોમાં નિર્ણય લેવાશે. તેમણે કહ્યું કે,મુખ્યમંત્રીએ રાજય સરકારનો નવરાત્રિ મહોત્સવ નહીં યોજવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત ઘણા ગરબા આયોજકોએ જાહેરાત કરી દીધી છે કે, ગરબા આયોજન નહીં કરે. ડોક્ટરોએ સરકારને સૂચનો કર્યા છે તેમાં મોટા પાયે ગરબા ન કરવા કહ્યુ છે. આ સંજોગોમાં ગરબાના આયોજન અંગેની શક્યતા નથી.