ગાંધીનગર: રાજયમાં કોરોના વાયરસના ટેસ્ટને લઈ આરોગ્ય વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. રાજયની લેબોરેટરીમાં હવે કોઈ વ્યકિત સ્વૈચ્છિક કોરોનાનો ટેસ્ટ કરાવવા માંગે તો ડોકટરના અભિપ્રાય કે પ્રિસ્ક્રિપ્શન વગર જ કરાવી શકાશે. અત્યાર સુધી ખાનગી લેબોરેટરીમાં કોઈ વ્યકિતએ સ્વૈચ્છિક રીતે ટેસ્ટ કરાવવો હોય તો એમડી ડોકટરની પ્રિસ્ક્રિપ્શન અનિવાર્ય હતી.


રાજ્યમાં હવે કોરોના વાયરસના ટેસ્ટ માટે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનની જરૂર નહી પડે. થોડા દિવસ પહેલા ખાનગી લેબોરેટરીમાં RTPCR ટેસ્ટનો ચાર્જ પણ ઘટાડી 800 રૂપિયા કરી દેવામાં આવ્યો છે.

ખાનગી લેબોરેટરીમાં પણ સરકાર દ્વારા કોરોના ટેસ્ટના ભાવ ઘટાડી દેવામાં આવ્યા છે. અગાઉ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ખાનગી લેબોરેટરીમાં કોરોના પરીક્ષણ કરવામાં આવતું નાં હતું. રાજ્યમાં હવે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કોરોના ટેસ્ટને આરોગ્ય વિભાગે મંજૂરી આપી છે. આરોગ્ય વિભાગ દ્વારા તમામ જિલ્લા આરોગ્ય અધિકારીઓને જાણ કરવામાં આવી છે.