Chandipura Virus: છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં એક જબરદસ્ત અને જીવલેણ વાયરસની એન્ટ્રી થઇ છે, આ વાયરસનું નામ ચાંદીપુરા છે, અને નાના બાળકોમાં આનું જોખમ સૌથી વધુ છે, આજે ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કારણે વધુ એક બાળક મોતને ભેટ્યુ છે. ચાંદીપુરા વાઇરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. આ વાયરસને કારણે વધુ ત્રણ વર્ષના બાળકના મોત થયા છે. નોંધનીય છે કે, રાજ્યમાં કુલ 12 શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસના કેસ નોંધાયા છે. અત્યાર સુધી શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી કુલ 8 બાળકોના મોત થયા છે.


ચાંદીપુરા વાયરસને લઇને આજે આવેલા લેટેસ્ટ અપડેટ પ્રમાણે, રાજ્યમાં કુલ 8 બાળકોના મોત થયા છે. આજે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ચાંદીપુરા રોગ અંગે માહિતી આપતા કહ્યું કે, સાબરકાંઠા જિલ્લામાં 4 કેસ આવ્યા હતા તે પૈકી 2 બાળકોના મોત થયા હતા, અરવલ્લી જિલ્લામાં 3 કેસ નોંધાયા હતા, જેમાં તમામ બાળકોના મૃત્યુ થયા થયા, આ ઉપરાંત મહીસાગરમાં 1 કેસ હતો તે બાળકનું મૃત્યુ થયું અને હવે આજે રાજકોટના એક કેસમા એક બાળકનુ મોત થયું છે.


ચાંદીપુરા અંગે તજજ્ઞોના જણાવ્યા અનુસાર આ વાયરસથી સંક્રમિત બાળકોના મગજમાં સોજા સહિત અન્ય ઘણા લક્ષણો જોવા મળી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા વાયરસથી સંક્રમિત બાળકોના પરિવારના સભ્યોના સેમ્પલ પણ લેવામાં આવી રહ્યા છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કુલ 6 દર્દીઓ દાખલ થયા હતા. અરવલ્લી જિલ્લાના મેઘરજ અને ભિલોડા તાલુકાના અંદાજે ત્રીસથી વધારે ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ કામગીરી પુરજોશમાં ચાલુ છે.


ચાંદીપુરા વાયરસ અંગે - 
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 8 મૃત્યું નોંધાયા છે. આ મોતમાં સેમ્પલના પરિણામ આવ્યા બાદ જ ચાંદીપુરા રોગના આ કેસ હતા કે નહીં તેની પૃષ્ટિ થશે, ચાંદીપુરા રોગ ચેપી નથી પરંતુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સની પ્રાથમિક તબક્કે જ સૂચના અપાઇ હતી. જેના પરિણામે અત્યારસુધીમાં કુલ 4487 ઘરોમાં કુલ 18646 વ્યક્તિઓનું સ્ક્રીનીંગ કરાયું છે.સેન્ડફ્લાય કંટ્રોલ માટે કુલ 2093 ઘરોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ પણ કરાયો છે.


ચાંદીપુરા વાયરસના લક્ષણો
ચાંદીપુરા વાયરસના કેસોમાં દર્દીને તાવ આવે છે, ઉલટી થાય, શ્વાસમાં તકલીફ પડે, મગજનો તાવ આવે જેવા લક્ષણો જોવા મળે છે. આ રોગના મહત્તમ લક્ષણો અન્ય વાયરસ જેવા જ હોય છે. જેથી પ્રાથમિક તબક્કે રોગની ઓળખ કરવામાં મુશ્કેલી પડે એમ છે. જોકે ચાંદીપુરા વાયરસ મોટાભાગે 10 વર્ષની નીચેના બાળકોમાં જ જોવા મળે છે. આ વાયરસ ખૂબ જ જીવલેણ છે, જેથી તેનો ભોગ બનેલાને જલદીથી ટ્રીટમેન્ટ મળવી જરૂરી છે. દર્દીઓમાં એન્સેફાલીટીસના લક્ષણો પણ દેખાવા લાગે છે, જેનાથી દર્દી કોમામાં પણ જઇ શકે છે.


ચાંદીપુરા વાયરસ ચેપની સારવાર - 
ચાંદીપુરા વાયરસ માટે અત્યારે કોઈ ખાસ સારવાર નથી.
જો કે, આ વાયરસ ખતરનાક છે અને તેના લક્ષણો એન્સેફાલીટીસ (મગજના તાવ) જેવા જ હોવાથી દર્દીએ જેટલી જલ્દી થાય તેટલી જલ્દીની ડોક્ટર સાથે મુલાકાત લેવી જોઈએ. 
ચાંદીપુરા વાયરસથી બચવા માટે મચ્છર અને માખીઓથી બચવું અને તંદુરસ્ત ખોરાક લેવો મહત્વપૂર્ણ છે.
ચોમાસામાં ખુલ્લામાં ઉપલબ્ધ ખોરાક પર માખીઓ બેસી જાય છે, જેના કારણે આ ખાદ્ય પદાર્થો તમને આ જીવલેણ રોગનો શિકાર પણ બનાવી શકે છે.
આ વાયરસથી પોતાને બચાવવા માટે સ્વચ્છતા અને સાવચેતી જરૂરી છે.