Onion Export Ban: ડુંગળી પકવતા ખેડૂતોને ટૂંક સમયમાં રાહતના સમાચાર મળી શકે છે. ડુંગળીનાં ભાવમાં ઘટાડો થતા નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાની સરકાર તૈયારી કરી રહી છે. આ અઠવાડિયે આ સંદર્ભે સમીક્ષા બેઠક યોજાય તેવી શક્યતા છે અને ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.


દેશમાં ડુંગળીના ઉત્પાદનમાં ઘટાડો અને ત્રણ મહિનામાં બમણાથી વધુ ભાવવધારા બાદ સરકારે ૮ ડિસેમ્બરે ડુંગળીની નિકાસ પર ૩૧ માર્ચ ૨૦૨૪ સુધી પ્રતિબંધ લાદ્યો હતો. એક રિપોર્ટ અનુસાર છેલ્લા 10 દિવસમાં ખરીફ ડુંગળીની આવક વધી છે. બજારોમાં રોજ 15 હજાર ક્વિન્ટલથી વધુની આવક ચાલુ છે. આવકમાં વધારાને કારણે ડુંગળીની કિંમત ૧૮૭૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી લગભગ ૨૦ ટકા ઘટીને ૧૫૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે. ગયા મહિનાની સરખામણીએ કિંમતોમાં લગભગ ૩૫ ટકાનો ઘટાડો થયો છે અને તેના કારણે સ્થાનિક બજારમાં પણ ભાવ ઘટવા લાગ્યા છે. ડુંગળીના ભાવમાં ઘટાડો થતા નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાની સરકારની વિચારણા છે.


છેલ્લા દસ દિવસથી ખરીફ પાકની આવક વધી રહી છે. દરરોજ 15,000 થી વધુ ક્વિન્ટલની આવક થઈ રહી છે. સ્થાનિક બજારમાં પણ ડુંગળીના ભાવમાં ઘટાડો થયો છે. જે બાદ સરકાર ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ અંગે સમીક્ષા બેઠક યોજશે.


ડાયરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડે 31 માર્ચ, 2024 સુધી ડુંગળીને ફ્રીમાંથી પ્રતિબંધિત શ્રેણીમાં મૂકી હતી. જે દેશોને ડુંગળીની ખૂબ જ જરૂર છે, તેમને ભારત સરકારની મંજૂરી લીધા બાદ તેની નિકાસ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવ્યો હતો.


ડુંગળીના ભાવમાં વધારો થયા બાદ સરકારે રાહત દરે ડુંગળી વેચવાનું શરૂ કર્યું છે. જેથી સામાન્ય જનતાને થોડી રાહત મળી શકે. નિકાસ પરનો પ્રતિબંધ હટાવવામાં આવે તો પણ જ્યાં સુધી સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી રાહત દરે વેચાણ ચાલુ રહેશે.


અત્યાર સુધીમાં સરકારે 25,000 ટન ડુંગળીની ખરીદી કરી છે અને સ્થાનિક બજારમાં તેની ઉપલબ્ધતા જાહેર કરી છે. કેન્દ્ર સરકાર અને તેની સંલગ્ન સમિતિઓ સંયુક્ત રીતે છૂટક દુકાનો અને મોબાઈલ વાન દ્વારા 25 રૂપિયા પ્રતિ કિલોના દરે ડુંગળી વેચી રહી છે.


ગયા મહિનાની શરૂઆતમાં રાજધાની દિલ્હીમાં સ્થાનિક શાકભાજી વિક્રેતાઓ 70-80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ડુંગળી વેચી રહ્યા હતા. કિંમતો સતત વધી રહી હતી, તેથી સરકારે સ્થાનિક ઉપલબ્ધતા વધારવા અને ભાવને અંકુશમાં રાખવા માટે આવતા વર્ષે માર્ચ સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું હતું કે ડુંગળીની નિકાસ નીતિને 31 માર્ચ, 2024 સુધી ફ્રીમાંથી પ્રતિબંધિત શ્રેણીમાં બદલવામાં આવી છે. જો કે, તે દરમિયાન, અન્ય દેશોને તેમની વિનંતીના આધારે સરકારની મંજૂરી લીધા પછી ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવે છે.