અમદાવાદઃ વિશ્વમાં એશિયાઇ સિંહોના એકમાત્ર રહેઠાણ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્ય તથા બૃહ્દ ગીર વિસ્તારમાં દલખાણીયા રેન્જમાં 12 સપ્ટેમ્બરથી અત્યાર સુધીમાં થયેલાં 23 સિંહોનાં મોતને ધ્યાનમાં લેતાં રાજ્ય સભા સાંસદ પરિમલ નથવાણીએ કેન્દ્ર તથા રાજ્ય સરકારને ગીરમાં એશિયાઇ સિંહોને વિશ્વસ્તરીય આરોગ્ય ચકાસણી અને સારવાર પૂરી પાડવા માટે આફ્રિકા, યુ.એસ. અને યુરોપમાંથી વિદેશી પશુચિકિત્સા નિષ્ણાતોની ટીમ બોલાવવા માટે વિનંતી કરી છે.


નથવાણીએ જણાવ્યું કે, ગીર નેશનલ પાર્ક અને વન્યજીવ અભયારણ્યની બહાર સુધી ફેલાયેલા સિંહોની સંભાળ લેવા માટે કર્મચારીઓની સંખ્યા અપૂરતી છે. લગભગ 167 જેટલા સિંહો સુરક્ષિત વિસ્તારની બહાર છે અને દરેક ગાર્ડે 15-20 ગામડાં ફરવા પડે છે. તેમણે ઉમેર્યું હતું કે ગીર વિસ્તારમાં સિંહોની સંખ્યા વધતાં લગભગ 30 ટકા જેટલા સિંહ સુરક્ષિત વિસ્તારની બહાર વસવાટ કરે છે અને સરકારે તેમના પર ધ્યાન આપવાની જરૂર છે. “આ સિંહો પર ગેરકાયદે લાયન શો અને અકુદરતી મોતનો ભય રહેલો છે,” એમ તેમણે જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું કે, આફ્રિકા, યુ.એસ. અને યુરોપના નિષ્ણાત પશુચિકિત્સકો રોગચાળાને કારણે થતાં સિંહોના મૃત્યુને રોકવાનો અનુભવ ધરાવે છે તેથી ભારત સરકાર અને ગુજરાત સરકારે તેમનો સંપર્ક કરીને તેમને ગીરમાં લઇ આવવા જોઇએ. આ નિષ્ણાતો સિંહોની આરોગ્ય ચકાસણીમાં અને રોગના ફેલાવાને રોકવામાં મદદ કરશે,” એમ શ્રી નથવાણીએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં કહ્યું કે સિંહોની સંખ્યાના પ્રમાણમાં તેમની સરવાર માટેની સુવિધા અપૂરતી છે. પશુ ચિકિત્સકોની સંખ્યા પણ એક કે બે જ છે. ખરેખ તો સિંહો માટે ખાસ ઇન્સેટિવ કેર એમ્બ્યુલન્સ પ્રકારની સુવિધા હોવી જોઇએ જેથી બીમાર કે ઘાયલ સિંહને ચિકિત્સા માટે લાવતાં લાવતાં એમ્બ્યુલન્સમાં જ સારવાર આપવાનું શરૂ કરી શકાય.

નથવાણીએ જણાવ્યું કે, જો સરકાર નીલગાયને મારવા અંગે વિચારણા કરી શકતી હોય તો કૂતરાંઓના ત્રાસને દૂર માટે પણ વિચારણા કરવી જોઇએ, એમ તેમણે જણાવ્યું હતું. સાથે જ કહ્યું કે, ગીરમાં પ્રવાસનને ઉત્તેજન આપવું તે સારી વાત છે પણ વન વિભાગે દેશમાં ટાઇગર રીઝર્વ્સમાંથી શીખ મેળવવી જોઇએ જ્યાં દરેક રીઝર્વમાં ટૂરીઝમ કેપેસીટી ફોર્મ્યુલાના ઉપયોગથી વન્યજીવોને થતા માનવ હસ્તક્ષેપને નિયંત્રિત કરવામાં આવે છે. નથવાણીએ આ મામલે પર્યાવરણ, વન અને જળ-વાયુ પરિવર્તન મંત્રી ડૉ. હર્ષવર્ધન, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ગુજરાતના વન મંત્રી ગણપતસિંહ વસાવાને પત્રો લખ્યા છે.