ગાંધીનગરઃ સામાન્ય બેદરકારીના કારણે ફાર્માસિસ્ટને લાગ્યો કોરોનાવાયરસનો ચેપ, બીજાં 37 લોકોની જીંદગી કઈ રીતે મૂકી જોખમમાં?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Mar 2020 10:02 AM (IST)
ગાંધીનગર જિલ્લાના વેડા ગામના સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફાર્માસિસ્ટને પોતાના સગાંના સંપર્કથી કોરોનાવાયરસનો ચેપ લાગતાં તેનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાઈરસના કેસોની સંખ્યા વધી રહી છે તેમાં લોકોની સામાન્ય ભૂલો પણ જવાબદાર છે. ખાસ કરીને સ્થાનિક સંક્રમણથી ફેલાતા ચેપના કેસોમાં લોકોની બેદરકારી જ કારણભૂત હોવાનું મોટા ભાગના કેસોમાં બહાર આવ્યું છે. આવી બેદરકારી દાખવનારા ગાંધીનગર જિલ્લાના વેડા ગામના સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફાર્માસિસ્ટ સામે પોલીસે કેસ નોંધ્યો છે. ગાંધીનગર જિલ્લાના વેડા ગામના સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફાર્માસિસ્ટને પોતાના સગાંના સંપર્કથી કોરોનાવાયરસનો ચેપ લાગતાં તેનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આરોગ્ય અગ્રસચિવ ડો.જ્યંતિ રવિએ કહ્યું હતું કે, ફાર્માસિસ્ટને કોવિડ 19 વાયરસ અંગે સરકારી ગાઈડલાઈનની ખબર હોવા છતાંયે વિદેશથી આવેલા પોતાના સગા યુવકની સાથે રહ્યો હતો. તેના કારણે તેને ચેપ લાગ્યો અને ખતરનાક બાબત એ છે કે એ પછી તે ફરજ પર પણ ગયો હતો. વેડા ગામના સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ દરમિયાના આ ફાર્માસિસ્ટ અન્ય દર્દીઓ, સરકારી અધિકારી- કર્મચારીઓ મળી કુલ 37 નાગરીકોને મળ્યો હોવાનું બહાર આવ્યું છે. આ તમામને આઈસોલેશન હેઠળ રખાયા છે જ્યારે ફાર્માસિસ્ટ સામે કેસ દાખલ કરાયો છે.