જૂનાગઢઃ એશિયાના સૌથી મોટા રોપવે ગિરનાર રોપવેનું ઇ-લોકાર્પણ PM નરેન્દ્ર મોદીના હસ્તે કરાયું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અન્ય મંત્રીઓ જૂનાગઢમાં ઉપસ્થિત રહ્યા હતા. PM નરેન્દ્ર મોદીના હસ્તે ગિરનાર રોપવેનું ઇ-લોકાર્પણ સાથે સાથે કિસાન સૂર્યોદય યોજના પણ શરૂ કરાઇ છે. રોપવે દ્વારા 2.3 કિલોમીટરનુ અંતર માત્ર 8 મિનિટમાં કાપી શકાશે. ઉષા બ્રેકો કંપની દ્વારા 130 કરોડના ખર્ચે ગિરનાર રોપવે પ્રોજેક્ટ બનાવાયો છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, મને આનંદ છે કે કિસાન સૂર્યોદય યોજનાથી ગુજરાત નવી પહેલ સાથે આગળ વધશે. ભારત આજે સોલાર પાવર ઉત્પાદન અને ઉપયોગમાં દેશના ગણતરીના દેશોમાં છે. કિસાન સૂર્યોદય યોજના ખેડૂતો માટે ખુબજ લાભદાયી રહેશે.

આ પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે ખેડૂત, ખેતી અને ગામડું સમૃદ્ધ કરવા માટે સરકાર કામ કરી રહી છે. કિસાન સૂર્યોદય યોજના મારફતે 1055 ગામડાના ખેડૂતોને દિવસે વીજળી અપાશે. જ્યોતિગ્રામ યોજનાના કારણે ગુજરાત 24 કલાક વીજળીથી ઝળહળતું છે. આ સરકાર ખેડૂતોની સરકાર છે.

ભવનાથ તળેટીથી ગિરનાર પર્વત પર અંબાજી માતાનું મંદિર 2.3 કિ.મી. દૂર છે. આ અંતર રોપવેથી માત્ર 7 મિનિટમાં કાપી શકાશે. હાલ તળેટીથી દત્ત મંદિર જતા 4થી 6 કલાક લાગે છે.

2.3 કિ.મી. લંબાઇ ધરાવતા ગીરનાર રોપ-વેના રૂટ પર 9 ટાવર ઉભા કરવામાં આવ્યા છે. એક ટ્રોલીમાં 8 વ્યક્તિ બેસી શકશે. 36 સેકન્ડે ટ્રોલી ઉપડશે અને એક કલાકમાં 800 શ્રદ્ધાળુઓ 25 ટ્રોલીમાં અંબાજી મંદિરે પહોંચી જશે.

જૂનાગઢ રોપ-વેની ટિકિટનો દર કંપની દ્વારા નક્કી કરાયો છે. એશિયાના સૌથી મોટો રોપ-વેમાં બેસવા માટે રૂપિયા 700 ટૂવે નક્કી કરાયા છે. બાળકો માટેની ટિકિટનો દર 350 રૂપિયા નક્કી કરાયો છે અને રોપ-વેની વન-વે ટિકિટ 400 રૂપિયા નક્કી કરવામાં આવી છે.