ભારતનું પ્રથમ સી પ્લેન આજે કેવડિયાથી ભરશે ઉડાન, PM મોદી દેશને સોંપશે પોતાનો ડ્રીમ પ્રોજેક્ટ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 31 Oct 2020 07:29 AM (IST)
18 સીટર આ સી પ્લેનમાં મુસાફરી માટે પ્રવાસી પાસેથી આવન જાવન માટે 3 હજાર રૂપિયા ટિકીટ રહેશે.
અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેવડિયા ખાતે દેશની પહેલી સી પ્લેન સેવાનો પ્રારંભ કરાવશે. ત્યારબાદ તેઓ કેવડિયાથી અમદાવાદ રિવરફ્રન્ટ સુધી સી પ્લેનમાં આવશે. ઉડાન યોજના હેઠળ સ્પાઈસ જેટ 31 ઓક્ટોબરથી સી પ્લેનનું સંચાલન કરશે. સી પ્લેન સેવાના પ્રારંભ સાથે જ કોર્મશિયલ ઓપરેશન શરૂ થઈ જશે. 18 સીટર આ સી પ્લેનમાં મુસાફરી માટે પ્રવાસી પાસેથી આવન જાવન માટે 3 હજાર રૂપિયા ટિકીટ રહેશે. પીએમ મોદી બપોરે 1 વાગ્યે અમદાવાદ રિવરફ્રંટ ખાતે પહોંચશે. અમદાવાદથી પીએમ સીધા દિલ્લી જવા રવાના થશે. જો કે મોદીના આગમન અને એયરપોર્ટથી પ્રસ્થાન દરમિયાન લોકોના ટોળાં એકત્ર થવા નહીં દેવાય. કોરોનાના કારણે પ્રધાનમંત્રી મોદીની મુલાકાતના સ્થળે વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. શહેર પોલીસને સવારથી સ્ટેંડ ટુ રહેવાના આદેશ અપાયા છે. સવારે 10થી બપોરના 2 વાગ્યે સુધી સાબરમતી રિવરફ્રંટ પશ્ચિમ રોડ વાડજ સ્મશાન ગૃહ કટથી આંબેડકર બ્રિજ સુધીનો જતો આવતો માર્ગ બંધ રાખવામાં આવશે.