અમદાવાદ: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે 18 નવેમ્બરથી ઉપસાગરમાં હળવું દબાણ ઊભુ થશે. 23 નવેમ્બર સુધીમાં ભારે ચક્રવાત બની શકે. ચક્રવાતને કારણે ફરી રાજ્યમાં માવઠા જેવું વાતાવરણ થશે. તેમણે આગાહી કરતા કહ્યું કે 23 થી 26 નવેમ્બર સુધી માવઠું પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી વાવાઝોડાની ચોંકાવનારી આગાહી કરી છે. આગાહી મુજબ બંગાળના ઉપસાગરમાં વધુ એક વાવાઝોડું સર્જાશે અને તેના કારણે ફરીથી હવામાનમાં પલટો આવશે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થશે. આજે સવારે ઠંડી તો બપોરના સમયે ગરમીનો અનુભવ થાય તેવી આગાહી કરવામાં આવી હતી. સિસ્ટમ સક્રિય ન હોવાથી માવઠાનું સંકટ ટળ્યું છે. હાલમાં રાજ્યમાં વરસાદની શક્યતા નહિવત છે. પવનોની દિશા બદલતા વાતાવરણ સૂકું રહે તેવી શક્યતા છે.
9થી 10 નવેમ્બર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ અરબી સમુદ્રમાં સક્રિય ડિપ્રેશન નબળું પડી ગયું છે. ધીમે ધીમે રાહત મળતી જશે અને શિયાળુ પાક માટે હવામાન સાનુકૂળ બનતું જશે. 8 નવેમ્બર સુધી દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ રહેશે. 9થી 10 નવેમ્બરમાં હળવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ છે. જેના કારણે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ રહેશે. 18થી 20 નવેમ્બરમાં સક્રિય થવાની શક્યતાઓ છે. જેની અસરના કારણે દક્ષિણ ભારતમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે. 23થી 26 નવેમ્બરમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ રહેશે અને માવઠા જેવું વાતાવરણ બની શકે છે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર, જૂનાગઢ, ભાવનગર, દક્ષિણ ગુજરાતના ભાગો, મધ્ય અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. 8 નવેમ્બર સુધીમાં રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઈ શકે છે. 15 નવેમ્બર સુધી રાજ્યમાં મહત્તમ તાપમાન 29-30 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની સંભાવના છે.
રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદથી મોટુ નુકસાન
ગુજરાતમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોને મોટું નુકસાન પહોંચાડ્યું છે. ગુજરાતના ખેડૂતો બરબાદ થઇ ગયા છે, સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ખેડૂતોના પાકનું ધોવાણ થયુ છે. છેલ્લા અઠવાડિયાથી માવઠુ થઈ રહ્યું છે. જેમાં રાજ્યમાં મગફળી, કપાસ, ડાંગર સહિતના પાકોને નુકસાન થયુ છે.
તાજા અપડેટ પ્રમાણે, આ માવઠાથી ગુજરાતમાં 10 લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન પહોંચ્યુ છે. જેમાં ખાસ કરીને મગફળી, કપાસ, તુવેર, સોયાબીનના પાકને મોટુ નુકસાન થયુ છે. આ પાક નુકસાનીના નિરીક્ષણ બાદ મંત્રીઓએ સરકારને રિપોર્ટ પણ સોંપી દીધો છે. હવે સાત દિવસમાં પાક નુકસાનનો સર્વે કરવા આદેશ અપાયો છે. મહત્વનું છે કે રાજ્યમાં સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં સૌથી વધુ નુકસાનીના આંકડા મળ્યા છે. સર્વેના આધારે રાજ્ય સરકાર સહાય ચૂકવશે.