ગાંધીનગર: રાજ્યમાં દીવાળીના તહેવાર બાદ કોરોના વાયરસનું સંક્રમણ વધતા ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લગાવવામાં આવ્યું છે. જો કે હવે કોરોના વાયરસના કેસમાં ઘટાડો થયો છે, જેના કારણે અંદાજ હતો કે, રાત્રિ કર્ફ્યુ હટાવી લેવામાં આવશે. પરંતુ આજે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સ્પષ્ટ કર્યું છે કે રાત્રિ કર્ફ્યૂ યથાવત જ રહેશે.


રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ નિવેદન આપ્યું કે, રાજ્યના ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત રહેશે. અને હાલ પૂરતું કર્ફ્યુ હટાવવામાં નહીં આવે. કોરોના વાયરસના કેસમાં ઘટાડો થયો છે, જેના કારણે અંદાજ હતો કે, રાત્રિ કર્ફ્યુ હટાવી લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ન્યુ યરનો તહેવાર નજીક આવી રહ્યો છે. લોકો રાત્રિ દરમિયાન જ થર્ટી ફસ્ટની ઉજવણી કરતા હોય છે. આ ઉપરાંત ચર્ચમાં ખ્રિસ્તી સમુદાય રાત્રિ દરમિયાન જ પ્રાર્થના કરે છે. પરંતુ જે પ્રમાણે ગૃહમંત્રીએ નિવેદન આપ્યું છે તેના પરથી એ પણ સ્પષ્ટ થાય છે કે ન્યુ યરના તહેવારમાં પણ કોઈ છૂટ નહિ મળે. પ્રદીપસિંહએ કહ્યું કે, કોઈપણ સંજોગોમાં ચાર મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ યથાવત રહેશે. જેથી એ સ્પષ્ટ થયું છે કે હાલ રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રિ કર્ફ્યુ નહીં હટાવવામાં આવે.