રાજ્ય સરકારે ખાનગી હોસ્પિટલોમાં સારવાર હેઠળના મ્યુકરમાઈકોસિસના દર્દીઓ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને સોલા સિવિલ સહિત સાત મહાનગરોમાં એમ્ફોટેરેસન બી ઈંજેક્શનનું વિતરણ શરૂ કર્યું છે. આરોગ્ય કમિશનરેટે રવિવારે પ્રસિદ્ધ કચેરી આદેશમાં સરકારી હોસ્પિટલોને ખાનગી તબીબના પ્રિસ્ક્રિપ્શનને આધારે એમ્ફોટેરેસિન બી ઈંજેક્શન 6247થી લઈને 220 રૂપિયા સુધીના પડતર ભાવે વેચવાનું કહેવાયું છે. ત્રણ અલગ અલગ કેટેગરીમાં છ કંપનીઓ ઉત્પાદિત આ ઈંજેક્શન પર સરકારે પાંચ ટકા જીએસટી ઉમેરીને પડતર કિંમત નક્કી કરી છે.


અમદાવાદ સિવિલ હોસ્પિટલે ખાનગી હોસ્પિટલોના દર્દીઓ માટે એમ્ફોટેરેસિન બી ઈંજેક્શન આપવાનું જાહેર કર્યું છે. લાયકા લેબ્સ લિમિટેડનું 220 રૂપિયાનું એક એવા ઈંજેક્શન માટે દર્દીઓને 6357365462 પર સંપર્ક કરવા કહેવાયું છે. તબીબોના ઓરિજીનલ પ્રિસ્ક્રિપ્શન સહિત દર્દીની કેસ હિસ્ટ્રી અને ખાનગી હોસ્પિટલ અધિકૃત અધિકારીા નંબર સહિતની વિગતો સહિતના દસ્તાવેજો ઈમેઈલથી મોકલવાના રહેશે. જેને આધારે ઓનલાઈન ચાર્જિસ વસુલવામાં આવશે.


રાજ્યમાં મ્યુકરમાઈકોસિસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યના પાંચ શહેરોમાં મ્યુકરમાઈકોસિસના નવા 62 કેસ નોંધાયા છે. જ્યારે સાત દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે. અમદાવાદ સિવિલમાં જ મ્યુકરમાઈકોસિસના 600થી વધુ કેસ છે.


મ્યુકરમાઈકોસિસના સૌથી વધુ નવા કેસ રાજકોટ શહેરામં નોંધાયા છે. રાજકોટમાં નવા 20, વડોદરામાં નવા 19, અમદાવાદમાં નવા 14, સુરતમાં નવા છ અને જામનગરમાં નવા ત્રણ કેસ નોંધાયા છે. તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ મ્યુકરમાઈકોસિસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.


બનાસકાંઠા જિલ્લામાં એક મહિનામાં મ્યુકરમાઈકોસિસના 23 કેસ નોંધાયા છે. જ્યારે પાંચના મોત નિપજ્યા છે. જ્યારે પાટણ જિલ્લામાં મ્યુકરમાઈકોસિસના 11 કેસ નોંધાયા છે. તો સાતને અમદાવાદ રિફર કરાયા છે. આણંદ જિલ્લામાં મ્યુકરમાઈકોસિસના 34 દર્દીઓ સારવાર હેઠળ છે. સાબરકાંઠા જિલ્લામાં મ્યુકરમાઈકોસિસના 43 કેસ નોંધાયા છે.


અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવેલ ડેંટલ હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસના 70 દર્દીઓની સર્જરી કરવામાં આવી છે. જેમાં દર્દીઓના દાંત-દાઢ સહિત જડબા-તાળવા કાઢવા પડ્યા છે. કેસ વધતા ડેંટલ હોસ્પિટલમાં ચાર ઓપરેશન થિયેટરમાં હાલ સર્જરી કરવામાં આવી રહી છે. જેમાં એક ડેંટલ હોસ્પિટલ, એક પેરાપ્લેજિયા અને બે કિડની હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર કાર્યરત કર્યા છે. જ્યાં રોજ આશરે 12 જેટલા ઓપરેશન થઈ રહ્યાં છે.


અમદાવાદ સિવિલમાં મ્યુકર માઈકોસિસના 600થી વધુ કેસ થઈ છે. જેામં 140 જેટલા દર્દીઓ ઓપરેશન માટે વેઈટિંગમાં છે. તો અત્યાર સુધીમાં 37 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે.