અમદાવાદ: હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આગાહી પ્રમાણે ગુજરાતના ઘણાં વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે ગુરુવારે રાજ્યના કુલ 252માંથી 228 તાલુકાઓમાં 2મીમીથી લઈને 11 ઈંચ સુધી વરસાદ પડ્યો હતો. ત્યારે છેલ્લા 24 કલાકમાં ચરોતરમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આણંદ તાલુકામાં 12.59 ઇંચ વરસાદ ખાબક્યો છે જેને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું હતું જ્યારે સુરતના માંડવીમાં 11 ઈંચ વરસાદ ખાબક્યો હતો. લખતરમાં સાડા આઠ ઈંચ વરસાદ નોંધાયો હતો. ગોંડલમાં સાડા ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો.


દક્ષિણ સૌરાષ્ટ્રનાં જૂનાગઢ, અમરેલી, પોરબંદર અને ગીર-સોમનાથ જિલ્લામાં અડધા ઈંચથી લઈ ત્રણ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. જંગલ વિસ્તારમાં ભારે વરસાદથી નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી. સુરત શહેર અને જિલ્લામાં બે દિવસથી ભારે વરસાદ ખાબક્યો હતો.

24 કલાકમાં કઈ જગ્યાએ કેટલા ઈંચ વરસાદ ખાબક્યો

આણંદ - 12.59 ઈંચ
માંડવી - 11 ઈંચ
લખતર - 8.5 ઈંચ
નડિયાદ - 8 ઈંચ
જાંબુઘોડા - 7.5 ઈંચ
બોરસદ - 6.61 ઈંચ
પેટલાદ - 6.10 ઈંચ
મોરબી - 6 ઈંચ
આંકલાવ - 5.43 ઈંચ
ભાણવડા - 5 ઈંચ
મહુધા - 5 ઈંચ
ખંભાત - 4.52 ઈંચ
ગોંડલ - 4.5 ઈંચ
ઉમરપાડા - 3.5 ઈંચ
ધ્રાંગ્રધ્રા - 3.5 ઈંચ
કામરેજ - 3 ઈંચ
વડોદરા - 3 ઈંચ
લીમડી - 3 ઈંચ
પાવીજેતપુર - 3 ઈંચ
કલ્યાણપુર - 3 ઈંચ
વિરમગામ - 2.7 ઈંચ

ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર અને બે સાયક્લોનિક સરક્યુલેશનના પગલે રાજ્માં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સમયે કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતાઓ છે. રાજ્યમાં હાલ સારા વરસાદ માટે સર્જાયેલી સાનુકુળ સ્થિતિના પગલે જળાશયોના જળસ્તર વધવાની પૂર્ણ શક્યતાઓ છે. રાજ્યમાં સિઝનનો 65 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે નર્મદા, સુરત-તાપી-જામનગર, રાજકોટમાં અતિભારે વરસાદ પડી શકે છે. સુરેંદ્રનગર-દાહોદ, આણંદ-મહિસાગર-પંચમહાલમાં અતિભારે વરસાદ પડી શકે છે. વડોદરા, છોટાઉદેપુર, ડાંગ નવસારી, વલસાડ-દમણ-ભાવનગરમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે.