અમદાવાદઃ ગુજરાતમાં આ વર્ષે ચોમાસું લાંબું ચાલ્યા પછી હવે મેઘરાજા ગુજરાતમાંથી વિદાય લઈ શકે છે. હવામાન વિભાગ પ્રમાણે આગામી ત્રણ-ચાર દિવસમાં ગુજરાત સહિત અન્ય રાજ્યયોમાંથી ચોમાસુ પાછું ખેંચાશે. આ ઉપરાંત શુક્રવારથી રાજ્યમાં સુકુ હવામાન રહેવાની આગાહી કરવામાં આવી છે.


દેશભરમાં ચોમાસાની વિદાયમાં 15 દિવસ વિલંબમાં બંગાળની ખાડીનું ડીપ્રેસન દરિયામાં હજુ માંડ સમાયું છે, ત્યાં આ ખાડીમાં જ ફરી લો પ્રેસર સર્જાયું છે. જે વેલમાર્કડ લો પ્રેસરમાં ફેરવાયું છે અને હવે તે ડીપ્રેસનમાં ફેરવાય તેવી શક્યતા છે. જો કે આ સીસ્ટમની ગુજરાત પર નહીવત્ અસર થવાની ધારણા છે.

અડધા ગુજરાતમાં ચોમાસાની અટકી ગયેલી વિદાયનો આરંભ પંદર દિવસ પછી શરૂ થયો છે. દેશના અન્ય રાજ્યોમાંથી નૈઋત્યનું ચોમાસુ પાછુ ખેંચાયાના હવામાન વિભાગે જાહેરાત કરી છે. નૈઋત્યનું ચોમાસુ ઉત્તરપ્રદેશ, બિહાર તથા છત્તીસગઢ, સિક્કીમ, પશ્ચિમ બંગાળ, ઝારખંડના ઉત્તર તરફના વિસ્તારોમાંથી પરત ખેંચાયું છે.

કેરળથી પ્રવેશતું અને ગુજરાત-રાજસ્થાનથી વિદાય લેતુ ચોમાસુ જેટલા વિસ્તારમાં પાછુ ખેંચાય ત્યાં સુધીના વિસ્તારને જોડતી વિથડ્રોઅલ લાઈન (વર્ષાઋતુ વિદાય રેખા) તા.૬ ઓક્ટોબરથી આજ તા.૨૧ ઓક્ટોબર સુધી ગુજરાતમાં વલ્લભ વિદ્યાનગરથી પોરબંદર સુધીની છે, અર્થાત્ તેની ઉત્તરે આવેલા વિસ્તારો એટલે કે અડધા ગુજરાતમાં ચોમાસુ પાછુ ખેંચાયું છે.

ગુજરાતમાંથી ચોમાસુ પૂરું થવાની સામાન્ય તારીખ ૨૫ સપ્ટેમ્બર જાહેર કરાયેલી છે, જેમાં ૧૧ દિવસ મોડુ એટલે કે 6 ઓક્ટોબરથી ચોમાસુ પાછુ ખેંચાવાનું શરુ થયું અને ૧૫ દિવસ ફરી પાછું ઠેલાતા આશરે એક મહિનો વધુ મેઘરાજાનું રોકાણ થયું છે.