જૂનાગઢઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવતી કાલે 24મી ઓક્ટોબરે પોતાના ડ્રીમ પ્રોજેક્ટ ગિરનાર રોપ-વેનું લોકાર્પણ કરવાના છે. કોરોના મહામારીને કારણે તેમના હસ્તે ઇ-શુભારંભ કરાશે. ત્યારે જૂનાગઢ રોપ-વેની ટિકિટનો દર કંપની દ્વારા નક્કી કરાયો છે. એશિયાના સૌથી મોટો રોપ-વેમાં બેસવા માટે રૂપિયા 750 ટૂવે નક્કી કરાયા છે. બાળકો માટેની ટિકિટનો દર 350 રૂપિયા નક્કી કરાયો છે અને રોપ-વેની વન-વે ટિકિટ 400 રૂપિયા નક્કી કરવામાં આવી છે.


આ લોકાર્પણ પ્રસંગે ગીરનાર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહેશે. લોકાર્પણ વખતે તેઓ પ્રથમ ટ્રોલીમાં બેસીને દર્શન કરશે. આ સિવાય આ પ્રસંગે પ્રવાસન મંત્રી જવાહર ચાવડા, ઊર્જા મંત્રી સૌરભ પટેલ પણ ગીરનાર પર આવેલા અંબાજીના દર્શન કરશે. સાંસદ રાજેશ ચુડાસમાં પણ હાજર રહેવાના છે. આવતીકાલે ગિરનાર રોપ-વેનું ઈ-લોકાર્પણ હોવાથી રોપ-વેની ટ્રોલીઓને શણગારવામાં આવી છે.



ગુજરાતમાં હાલ ત્રણ સ્થળે રોપ-વે કાર્યરત છે. હવે ગિરનાર રોપ-વે રાજ્યનો ચોથો રોપ-વે બનશે. જેનું આવી કાલે 24 ઓકટોબરે વડાપ્રધાનના હસ્તે ઈ. લોકાર્પણ થશે. રોપ-વેને સેન્ટ્રલ ઈલેકટ્રીકલ સર્ટિફિકેટ મળી ગયું છે. આ રોપ વેનું અંતર 2.3 કિમી લાંબું છે. તેને બનાવવા માટે 130 કરોડનો ખર્ચે કરાયો છે.



પીએમ મોદી દિલ્હીથી વીડીયો કોન્ફરનસના માધ્યમથી રોપ-વેનું લોકાર્પણ કરીને જાહેર જનતા માટે ખુલ્લો મૂકશે. ઉષા બ્રેકો કંપનીએ એશિયોનો સૌથી લાંબો અને મોટો રોપ-વે તૈયાર કર્યો છે. તેની ક્ષમતા એક કલાકમાં 800 પ્રવાસીઓની હેરફેર કરી શકવાની છે. એક દિવસમાં 8 હજાર લોકોના વહનની ક્ષમતા ધરાવે છે. રોપ –વે પ્રોજેક્ટ માટે કુલ નવ ટાવર બનાયા છે. ગ્લાસ ફલોરની કેબિનમાં એક સાથે 8 લોકો બેસવાની ક્ષમતા ધરાવે છે. ગિરનાર રોપ વેથી ટુરિઝમને ભારે વેગ મળશે.