રાજ્યમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે આગામી 24 કલાકમાં બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગરમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. ઉત્તર, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે.


ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યના નવ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. કચ્છ, જામનગર, રાજકોટ,મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, બનાસકાંઠા, પાટણમાં ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની આગાહી છે. પરંતુ આણંદ અને ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.  હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, દાહોદમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, રાજકોટ, જામનગર, દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી  કરવામાં આવી છે.


મહીસાગરમાં ભારે વરસાદ


રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 245 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. મહીસાગરના લુણાવાડામાં આભ ફાટતા છેલ્લા બે કલાકમાં અઢીં ઈંચ વરસાદ ખાબક્યો હતો. તો ગાંધીનગરના માણસામાં 8 કલાકમાં છ ઈંચ વરસાદથી જળબંબાકાર થયું હતું. GIDC, જકાતનાકા અને માર્કેટ સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા.


મહીસાગરના લુણાવાડા શહેરમાં વરસેલા વરસાદથી ડુંગર પરથી પાણીનો તેજ પ્રવાહ વહી રહ્યો છે. પાણીના પ્રવાહમાં માટીની સાથે પથ્થરો પણ નીચે તણાઇ આવ્યા હતા. લુણાવાડા શહેરના બજારો બેટમાં ફેરવાયા હતા.


આ દરમિયાન રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 245 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ પાટણના સાંતલપુરમાં સાડા છ ઈંચ વરસાદ ખાબક્યો છે. રાજકોટના કોટડાસાંગાણીમાં છ ઈંચ અને ગાંધીનગરના માણસમાં છ ઈંચ વરસાદ પડ્યો છે. 13 તાલુકામાં દોઢ ઈંચથી વધુ અને 30 તાલુકામાં એક ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.


રાજકોટના આ ગામમાં લોકોના ઘરોમાં ઘૂસ્યા પાણી


રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બીજી ઈનિંગ જોવા મળી હતી. ઉપલેટા તાલુકાના તલંગણા ગામે ભારે વરસાદને પગલે પાણીના પૂર ગામમાં ઘુસ્યા હતા. તલંગણા ગામે મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. મકાનોમાં પાણી ઘૂસી જતા અનાજ સાહિતની તમામ ઘરવખરી પલળી ગઈ હતી. તંત્રને જાણ કરવા છતાં કોઈ કામગીરી હાથ ન ધરાઈ હોવાનો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે.  રોડ રસ્તાઓમાં ડામર ઉખડી જતા ભારે નુકશાની થઈ છે.