અમદાવાદઃ અરબ સાગરમાં ફરી એક વખત ચક્રવાતની અસરથી ગુજરાતમાં વાતાવરણમાં ફેરફારના સંકેત જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગે સમુદ્રમાં બે સિસ્ટમ કાર્યરત હોવાનું કહ્યું છે. સાથે જ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પણ જોવા મળ્યો છે.


કમોસમી વરસાદના કારણે મગફળી સહિતના અન્ય મોટાભાગે પાકને નુકસાન થતા જગતનો તાત ફરી ભારે ચિંતામાં મૂકાયો છે. ત્યારે બીજી તરફ હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે, હવે દરિયામાં પણ ખતરો વધ્યો છે.

મળતી માહિતી મુજબ હવમાન વિભાગની આગાહીની વચ્ચે અમરેલીના જાફરાબાદ અને પીપાવાવ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. સાથે માછીમારોને સાવચેતીના ભાગરૂપે દરિયો ના ખેડવા સૂચના અપાઈ છે. આ પહેલા 1 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું. આ પહેલા વેરાવળ અને નવલખી બંદર અને દ્વારકાના ઓખા બંદર પર પણ એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું.

સૌરાષ્ટ્રમાં અગામી બે દિવસોમાં કમોસમી વરસાદ પડી શકે છે. રાજકોટના માર્કેટ યાર્ડમાં ખુલ્લા વિસ્તારમાં મગફળી પડી છે.જેના કારણે જો વરસાદ પડે તો મગફળીને મોટા પ્રમાણમાં નુકશાન પહોચી શકે તેવી સંભવના છે.સમગ્ર મામલે યાર્ડના સત્તાધીશો દ્વારા પણ કોઈ જાહેરાત કરવામાં આવી નથી.અને લાખો ગુણી મગફળી ખુલ્લામાં પડી છે.જેના કારણે મગફળીને પ્લેટફોર્મ પર રાખવી પણ અશક્ય છે.